દૂરદર્શન પર 1988માં પ્રસારિત થયેલી અને આજે પણ એટલી જ લોકપ્રિય સિરિયલ મહાભારતમાં ભીમનું પાત્ર ભજવી વિશ્વભરમાં ખ્યાતિ મેળવનાર પ્રવીણ કુમાર સોબતીનું આજે સવારે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. તેઓ 74 વર્ષના હતા.
આજે લોકો ભલે તેમને એક અભિનેતા તરીકે ઓળખતા હોય પણ તેમણે એક એથ્લેટિક (ડિસ્કસ થ્રો) તરીકે પણ પુષ્કળ નામના મેળવી હતી. 1967માં અર્જુન અવૉર્ડ મેળવનાર પ્રવીણ કુમારે એથ્લેટિક તરીકે એશિયન ગેમ્સમાં બે ગૉલ્ડ સહિત ચાર મેડલ જીત્યા હતા તો કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવ્યા હતા. ઉપરાંત બે વાર ઑલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો.
અભિનયના પણ શોખીન પ્રવીણ કુમારે કમરના દુખાવાને પગલે ખેલ જગતની સાથે બીએસએફ છોડી અભિનયમાં જંપલાવ્યું તેમની પહેલી ફિલ્મ હતી રક્ષા. જેમ્સ બૉન્ડ ટાઇપની ફિલ્મના હીરો હતા જિતેન્દ્ર. પ્રવીણ કુમારે એક વફાદાર નોકરની ભૂમિકા ભજવી હતી. જોકે ત્યાર બાદ આવેલી લગભગ મોટાભાગની ફિલ્મોમાં તેમને નેગેટિવ પાત્રો જ ભજવ્યા હતા.
ફિલ્મો અને સિરિયલોમાં કામ મળવાનું બંધ થયા બાદ પ્રવીણ કુમારે રાજકારણમાં જંપલાવ્યું. પહેલાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને ચૂંટણી લડ્યા પણ એમાં હારી ગયા. જોકે એકાદ વરસ બાદ તેઓ ભાજપમાં જોડાયા.
લાંબા અરસાથી બિમાર પ્રવીણ કુમાર ભારે આર્થિક તંગી અનુભવી રહ્યા હતા. આજે સવારે તેમનું હૃદય રોગના હુમલાને કારણે અવસાન થયા બાદ મહાભારતમાં યુધિષ્ઠિરની ભૂમિકા ભજવનાર ગજેન્દ્ર ચૌહાણે ટ્વીટ કરી તેમના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, આજે સવારે ફરી એક દુખદ સમાચાર મળ્યા. મહાભારતનો મારો ભાઈ પ્રવીણ કુમાર અમને બધાને છોડી અનંત યાત્રાએ ઉપડી ગયો. વિશ્વાસ નથી થતો. પા જી, આપ હંમેશા અમને યાદ રહેશો. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ.