લોકસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ આવ્યા બાદ વિવેક ઓબેરોયે ઐશ્વર્યા બચ્ચનના ફોટા સાથે એક મીમ સોશિયલ મીડિયા પર મુક્યું હતું જેની પગલે ભારે વિવાદ થયો હતો. વિવેકની આ હરકતને અનેકજણે વખોડ્યું હતું. સોનમ કપૂરથી લઈ અનુપમ ખેર સુધીના કલાકારોએ વિવેકના ટ્વીટને હલકી કક્ષાનું ગણાવ્યું હતું. જ્યારે પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિવેક ઓબેરોયને આડે હાથ લઈ રહી હતી ત્યારે અભિષેક બચ્ચન ચૂપ હતો. અને આ વાત ઘણાને ખટકી રહી હતી કારણ વિવેકના મીમમાં એ પણ હતો.
પરંતુ એક અખબારમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ વિવેક ઓબેરોયનું ટ્વીટ જોઈ અભિષેક રાતોપીળો થઈ ગયો હતો અને વિવેકને જડબાતોડ જવાબ આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ વિવેકે પોતે ટ્વીટ ડિલીટ કરી નાખતા અભિષેકે પણ વિચાર બદલી નાખ્યો.
સૂત્રએ અગ્રણી અખબારને જાણકારી આપી હતી કે, અભિષેક બચ્ચન આમ તો શાંત સ્વભાવનો છે પણ જ્યારે એને ટ્વીટની જાણ થઈ એ ભડકી ગયો. પણ વિવાદને પગલે ટ્વીટ ડિલીટ કરાતા એણે વાત વધારવાનું મુનસિબ માન્યું નહોતું.
એવું કહેવાઈ રહ્યું છે કે ઐશ્વર્યાએ પણ અભિષેકને સમજાવ્યું કે આ વિવાદ પર કંઈ ન બોલે. ઐશ્વર્યા સમજી ગઈ હતી કે વિવેકે માત્ર એની ફિલ્મની પબ્લિસિટી માટે કર્યું છે એટલે એણે અભિષેકને આ વિવાદથી દૂર રહેવા જણાવ્યું હતું.