વીનસ રેકોર્ડ્સ એન્ડ ટેપ્સ તથા યુનાઇટેડ-૭ના માલિક અને બૉલિવુડના અગ્રણી નિર્માતા ચંપક જૈનનું આજે સાંજે અવસાન થયું હતું. તેમણે ઐશ્વર્યા રાય, શાહરૂખ ખાન સ્ટારર જોશ, અક્ષયકુમાર, સૈફ અલી ખાન અને શિલ્પા શેટ્ટી અભિનીત મૈં ખિલાડી તૂ અનાડી સહિતની અનેક ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. એવું કહેવાય છે કે તેમનું નિધન બ્રેઇન હેમરેજને કારણે થયું હતું. બૉલિવુડ અને રાજકારણીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
ચંપક જૈનના નિધન અંગે સોનુ સૂદે ટ્વીટર પર તેમને યાદ કર્યા હતા. સોનુ સૂદે લખ્યું હતું કે, ચંપકજીના અચાનક થયેલા નિધનના સમાચાર જાણી ઘણું દુખ થયું. તેઓ એક મજેદાર વ્યક્તિ હતા. એમની સાથેના મારા સંબંધો ઘણા મધુર રહ્યા હતા. રતનજી અને ગણેશ જૈન સહિત વીનસ પરિવારના તમામ સભ્યોને આ દુખ સહન કરવાની ઇશ્વર શક્તિ આપે એવી મારી પ્રાર્થના.
મુંબઈ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમે ટ્વીટ કર્યું હતું કે ફિલ્મ નિર્માતા ચંપક જૈનના જવાથી મને ઘણું દુખ થયું છે. તેઓ મારા સારા મિત્ર હતા. મારી એમની સાથેની યાદોના અનેક સંભારણા છે. ચંપકજીની સાથે વીનસ ગ્રુપ સાથે મારી સંવેદના સંકળાયેલી છે.
તો ગાયક મિકા સિંહે પણ ટ્વીટ કર્યું હતું કે, મારા મિત્ર અને વીનસ મ્યુઝિકના માલિક ચંપક જૈનના અવસાનને કારણ દુખી છું અને શૉક્ડ છું. તેઓ ઘણા સારા અને હેલ્પફુલ ઇન્સાન હતા. ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે.