13 એપ્રિલે જલિયાંવાલા બાગ હત્યાકાંડને સો વરસ પૂરા થયા ત્યારે ફિલ્મ સર્જક શૂજિત સરકારે ભારતના સૌથી બહદુર સ્વતંત્રતા સેનાનીઓમાંના એક સરદાર ઉધમ સિંહની બાયોપિકનો પહેલો લૂક રિલીઝ કર્યો છે.
વૈવિધ્યસભર વિષયો પર ફિલ્મો બનાવવા માટે જાણીતા શૂજિત સરકાર હવે સરદાર ઉધમ સિંહની જીવની દર્શાવવાના છે. ઉધમ સિંહ ભારતના એક એવા સપૂત જેમણે 1940માં લંડન જઈ જલિયાંવાલા બાગના હત્યારા માઇકલ ઓ. ડાયર (પંજાબના ભૂતપૂર્વ લ્યુટનન્ટ ગવર્નર)ની હત્યા કરી હતી.
ફિલ્મમાં વિક્કી કૌશલ સરદાર ઉધમ સિંહની ભૂમિકા ભજવી રહ્યો છે. આ વરસે ફિલ્મનું શૂટિંગ વિશ્વના અનેક દેશોમાં કરવામાં આવશે. હાલ ફિલ્મનું પહેલું શિડ્યુલ યુરોપમાં ચાલી રહ્યું છે. ફિલ્મ 2020માં રિલીઝ કરાશે.
આ પ્રકારના અનોખા વિષય પર ફિલ્મ બનાવનાર શૂજિત સરકારનું કહેવું છે કે, આ વિષય પર ફિલ્મ બનાવવાનું એટલા માટે વિચાર્યું કે ભારતની સ્વતંત્રતાની લડાઈમાં આ ક્રાંતિકારીનું મોટું યોગદાન છે અને એમના વિશે લોકોને ખાસ જાણકારી પણ નથી. ઉધમ સિંહના સંઘર્ષ અને બલિદાનની વાતો આજની જનરેશનને જણાવવી જરૂરી છે. આટલા મોટા અને બહાદુર સ્વતંત્રતા સેનાનીની જીવની લોકો સુધી પહોંચાડવા મારા લેખકો રિતેશ શાહ અને શુભેન્દુ ભટ્ટાચાર્ય તથા મારા મિત્ર એવા નિર્માતા રૉની લાહિરી સાથે મળી ફિલ્મની શરૂઆત કરી. આજની પેઢીના કલાકારોમાં વિક્કી કૌશલ સૌથી પ્રભાવશાળી અભિનેતા હોવાથી ઉધમ સિંહની ભૂમિકા માટે પસંદગી ઉતારી.
રાઇઝિંગ સન ફિલ્મ્સ બેનર હેઠળ બની રહેલી સરદાર ઉધમ સિંહના નિર્માતા રૉની લાહિરી અને શીલ કુમાર છે.