બૉલિવુડના દિગ્ગજ કૉમેડિયનમાં જેમની ગણના થતી હતી એવા જગદીપનું 81 વર્ષની ઉંમરે બુધવારે અવસાન થયું છે. વૃદ્ધાવસ્થાને કારણે થતી બીમારીને કારણે તેમનું અવસાન થયું હતું. જગદીપનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહમદ જાફરી હતું. 29 માર્ચ 1929ના જન્મેલા જગદીપે 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. 1975માં આવેલી રમેશ સિપ્પીની ફિલ્મ શોલેમાં ભજવેલી સૂરમા ભોપાલીની યાદગાર ભૂમિકાએ તેમને નવી પેઢીમાં પણ ખ્યાતિ અપાવી હતી.
જગદીપે તેમની ફિલ્મી કરિયરની શરૂઆત બાળકલાકાર તરીકે કરી હતી. ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જગદીપે ગુરૂ દત્તની આરપાર, બિમલ રૉયની દો બીઘા ઝમીન જેવી બહેતરીન ફિલ્મો કરી હતી. જગદીપે પુરાના મંદિરના મચ્છરની અને અંદાજ અપના અપનામાં સલમાન ખાનના પિતાની ભૂમિકામાં પણ લોકોનું જબરજસ્ત મનોરંજન કર્યું હતું. જગદીપે સૂરમા ભોપાલી નામક ફિલ્મનું દિગ્દર્શન કરવાની સાથે મુખ્ય ભૂમિકા પણ ભજવી હતી.
હમ પંછી એક ડાલ કેમાં એનું કામ ઘણું વખણાયું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ પણ જગદીપના વખાણ કર્યા હતા.
જગદીપના પુત્રો જાવેદ અને નાવેદ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. જાવેદે અનેક ફિલ્મોમાં વિલન તરીકે કામ કર્યા બાદ તેમનો ડાન્સ આધારિત બુગીવુગી શો ઘણો પોપ્યુલર થયો હતો. જગદીપની બે પત્ની હતી. જાવેદ અને નાવેદ પહેલી પત્નીના સંતાન હતા તો બીજી પત્ની થકી એક પુત્રી હતી જેનું નામ મુસ્કાન છે. મુસ્કાન મૉડેલિંગની સાથે સિંગર પણ છે.