ઇન્દોરના બજરંગ નગરમાં રહેતી અને ક્રાઇમ પેટ્રોલ સિરિયલમાં કામ કરતી 25 વર્ષીય અભિનેત્રી ગળે ફાંસો ખાઈ આજે (મંગળવારે) આત્મહત્યા કરી હતી. ઇન્દોર પોલીસે આ મામલે કેસ રજિસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે એના મૃત્યુંનું કારણ માત્ર કરિયર છે કે પરદા પાછળ કોઈ રમત રમાઈ છે.
અભિનેત્રીના પિતાના જણાવ્યા મુજબ લૉકડાઉનને કારણે એ પાછી ઘરે આવી હતી. મુંબઈમાં જે રીતે કોરોનાનો વ્યાપ વધી રહ્યો હતો અને લૉકડાઉનમાં વધારો થઈ રહ્યો હોવાથી લાંબો સમય કામ નહીં મળે એવા છૂપા ડરને કારણે એ ડિપ્રેશનમાં આવી હતી. અને આ હતાશામાં એણે અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. અભિનેત્રી સોની અને કલર્સ જેવી મોટી ચૅનલની અનેક લોકપ્રિય સિરિયલમાં કામ કરી ચુકી છે. અભિનેત્રીએ એના છેલ્લા વૉટ્સઍપ સ્ટેટસમાં લખ્યું હતું – સૌથી ખરાબ ચીજ છે સપનાનું મૃત્યુ થવું.
લૉકડાઉનને કારણે પ્રેક્ષા મેહતા જેવાં અનેક સ્ટ્રગલર કલાકારો છે જેમને કામની ચિંતા સતાવી રહી છે. પ્રેક્ષાએ શરૂઆત અભિજિત વાડકર, સંતોષ રેગે અને નગેન્દ્ર સિંહ રાઠોડના નાટ્ય ગ્રુપ ડ્રામા ફેક્ટરીથી કરી હતી. મંટોએ લખેલું ખોલ દો એનું પહેલું નાટક. આમાં જબરજસ્ત પ્રતિભાવ મળતા પ્રેક્ષાએ ખૂબસૂરત બહુ, બૂંદે, રાક્ષસ, પ્રતિબિંબિત, પાર્ટનર્સ, હાં, થ્રિલ, અધૂરી ઔરત જેવા અનેક સફળ નાટકો કર્યા. નેશનલ ડ્રામા કોમ્પિટિશનમાં ત્રણવાર પ્રથમ પુરસ્કાર જીતી ચુકી હતી. વન એક્ટ પ્લે સડક કે કિનારે માટે પણ એને અવૉર્ડ મળ્યો હતો.