7 જુલાઈ, 2021એ બૉલિવુડમાં એક યુગનો અંત આવ્યો. દેશ-દુનિયામાં ટ્રેજેડી કિંગ તરીકે વિખ્યાત અભિનેતા દિલીપ કુમાર ઉર્ફે યુસુફ ખાનનું 98 વર્ષની વયે અવસાન થયું. દિલીપ કુમારના અવસાન સાથે સાયરા બાનો સાથેના 55 વરસના લગ્નજીવનની દોર પણ તૂટી.
દિલીપ કુમાર વિશે અનેક વાતો લખાઈ છે અને ભવિષ્યમાં પણ લખાતી રહેશે, પરંતુ આજે આપણે દિલીપ કુમાર અને તેમના જીવનમાં આવેલી વ્યક્તિ વિશેની મજેદાર વાતોની સાથે અભિનેતા જે વાત ભૂલી જવા માગતા હતા એની પણ વાત કરીએ.
દિલીપ કુમારે સાયરા બાનો સાથે લગ્ન કર્યા એ અગાઉતેમની જીવનમાં મધુબાલા આવી હતી. જોકે ફિલ્મી પરદાના સલીમ-અનારકલી રિયલ લાઇફમાં પણ એક થઈ શક્યા નહીં. જોકે 44 વરસના દિલીપ કુમારના જીવનમાં બહાર ત્યારે આવી જ્યારે બાવીસ વરસની સાયરાએ તેમના જીવનમાં એન્ટ્રી કરી.
ચટ મંગની પટ બ્યાહ કરનાર સાયરા બાનો અને દિલીપ કુમારનાં લગ્ન કરી રહ્યા હોવાના સમાચાર વાયુવેગે ફેલાયા હતા. ઘણાને આશ્ચર્ય થયું કે તેમની વચ્ચે મન મેળ પડ્યો કેવી રીતે? અનેકે શંકા વ્યક્ત કરી કે આ જોડી લાંબો સમય ટકશે નહીં. પણ બધાના આશ્ચર્ય વચ્ચે બૉલિવુડના તેમના સમયના ટોચના કલાકારોનું લગ્નજીવન બે-ચાર નહીં પૂરા સાડાપાંચ દાયકા સુધી ટક્યું અને એ પણ ફેવિકોલના જોડ જેવું મજબૂત!
દિલીપ-સાયરનાં લગ્ન થયા બાદ જ્યારે પણ સ્ટાર કપલ બહાર જતું ત્યારે દિલીપ કુમાર સાયરા બાનોનો હાથ પકડીને જ ચાલતા. તો પાછલી જિંદગીમાં સાયરા છેલ્લા શ્વાસ સુધી પતિનો હાથ ઝાલી એની સેવા-ચાકરી કરતી રહી.
જોકે દિલીપ કુમારની તબિયત આટલી ફુલગુલાબી રહેવાનું કારણ છે તેમની કૂક નર્મદા. તમને જાણીને નવાઈ લાગશે કે નર્મદાના હાથનું બનાવેલું ભોજન જ દિલીપ કુમાર બંને સમય ખાતા. તેઓ જ્યાં પણ શૂટિંગ પર જતા ત્યાં નર્મદાને લઈ જતા, પછી શૂટિંગ દેશમાં હોય કે વિદેશમાં દિલીપ કુમાર નર્મદાના હાથનું બનાવેલું ભોજન જ ખાતા હતા.
તો બૉલિવુડના વિખ્યાત ફાઇટ માસ્ટર રવિ દીવાન અને દિલીપ કુમારનો કિસ્સો પણ જબરજસ્ત છે. રવિ દીવાન અને દિલીપ કુમારનો એક કિસ્સો ઘણો મજેદાર છે. સ્ટંટમેન રવિ દિલીપ કુમારના બૉડી ડબલ તરીકે કામ કરતા. રવિ દીવાને કર્માના સેટ પર બનેલો એક કિસ્સો કહ્યો. બન્યું એવું કે રવિ દીવાન દિલીપ કુમારના ગેટઅપમાં બેઠા હતા. દૂરથી જોઇએ તો અદ્દલ દિલીપ કુમાર જ બેઠા હોય એવું લાગે. રવિ સેટ પર તેમનો વારો આવે એની રાહ જોઈને બેઠા હતા. એ સમયે સાયરા બાનો આવ્યાં અને સીધો રવિ દીવાનના ખભા પર હાથ મુક્યો. રવિએ તુરંત સાયરાને કહ્યું મેડમ, હું રવિ દીવાન છું. હકીકતમાં રવિ દીવાન અને દિલીપ કુમાર વચ્ચે ગજબનું સામ્ય હોવાને કારણે સાયરા બાનો થાપ ખાઈ ગઈ.
સામાન્યપણે કલાકારના બૉડી ડબલ હીરોના ફાઇટ કે જોખમી દૃશ્યો કરવા પૂરતો જ કેમેરાનો સામનો કરતા હોય છે. જોકે દિલીપ કુમારે રવિ દીવાનને એક ગીતના શૂટિંગમાં આવવા જણાવ્યું. ધર્માધિકારીનાં એક ગીતનું શૂટિંગ દિલીપ કુમાર જેવા ગેટઅપમાં આવેલા રવિ દીવાન પર ફિલ્માવવામાં આવ્યું. જોકે આ ગીતમાં દિલીપ કુમાર અને રવિ દીવાન એક સીનમાં સાથે નજરે પડે છે ખરા. જેમાં હું ચેસ (શતરંજ)ના બૉર્ડ પર છું અને ગિલીપ કુમાર હીંચકા પર ઝૂલા ખાઈ રહ્યા છે.
બૉલિવુડ જ નહીં દરેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા કલાકારો મળી આવશે જેઓ અમુક કલાકાર સાથે કામ કરવા તૈયાર થતાં નથી. આવા બે કલાકા છે દિલીપ કુમાર અને રાજકુમાર. લગભગ 32 વરસ સુધી સાથે કામ ન કરનાર આ બંને કલાકારોને એકત્ર લાવવાનું બીડું સુભાષ ઘઈએ ઝડપ્યું. ફિલ્મ હતી સૌદાગર. ફિલ્મની જાહેરાત થઈ ત્યારે લગભગ બધાનું કહેવું હતું કે સુભાષ ઘઈએ પોતાના પગ પર કુહાડો માર્યો છે. તેમની ફિલ્મ પૂરી થશે કે નહીં એ અંગે પણ ઘણાને આશંકા હતી. પરંતુ સુભાષ ઘઈએ આ અશક્ય કામને શક્ય બનાવ્યું અને માત્ર 11 મહિનામાં ફિલ્મ બનાવીને રિલીઝ કરી. કહેવાની જરૂર નથી કે સૌદાગેર બૉલિવુડની બ્લૉક બસ્ટર ફિલ્મોમાંની એક છે. સૌદાગર પહેલા દિલીપ કુમાર અને રાજકુમાર 1959માં આવેલી પૈગામ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા.
ટેલિવિઝન પર ચાણક્ય આવી અગાઉ બૉલિવુડના દિગ્ગજ નિર્માતા-દિગ્દર્શક બી. આર. ચોપરાએ દિલીપ કુમારને લઈ તેમના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચાણક્ય ચંદ્રગુપ્તની જાહેરાત કરી હતી. દિલીપ કુમારનો ચાણક્યના ગેટઅપમાંનો ફોટો જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે ફિલ્મ એનાથી આગળ વધી નહીં અને બી. આર. ચોપરાએ ફિલ્મને અભેરાઈએ ચઢાવી દીધી. ફિલ્મમાં દિલીપ કુમાર ઉપરાંત ધર્મેન્દ્ર પણ ફિલ્મ કરવાનો હતો.
દિલીપ કુમારે તેમના આત્મકથાત્મક પુસ્તકમાં જણાવ્યું હતું કે તેઓ અસ્મા સાથેના લગ્ન મારી મોટી ભૂલોમાંની એક હતી. 1981માં અસ્મા રેહમાન સાથે લગ્ન કર્યાં હતા. જોકે તેમનું લગ્નજીવન માત્ર બે વરસ જ ટક્યું હતું. હકીકતમાં દિલીપ કુમાર અસ્માને હૈદરાબાદ ખાતે ક્રિકેટની એક મેચ દરમ્યાન મળ્યા હતા. જોકે અભિનેતાએ આ લગ્નની વાત જાહેર કરી નહોતી. પરંતુ સ્થાનિક પેપરોએ અસ્મા સાથેનાં લગ્નની વાત જાહેર કરી દીધી. એ સમયે અસ્મા સાથેનાં લગ્નની વાત દેશ-દુનિયાના અખબારોની હેડલાઇન બન્યા હતા.
જોકે દિલીપ કુમાર સાથે એક એવો પ્રસંગ બન્યો હતો કે ઘણા લોકો અભિનેતાને પાકિસ્તાની જાસૂસ ગણવા લાગ્યા હતા.
બન્યું એવું કે 60ના દાયકામાં જાસૂસી એજન્સી અને કોલકાતા પોલીસે કોલકાતાથી એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી હતી. એની પાસેથી મળી આવેલી ડાયરીમાં એ સમયના ફિલ્મી કલાકારોના નામો હતો. જાસૂસની પૂછપરછ કર્યા બાદ કોલકાતા પોલીસ ફ્લાઇટ પકડી મુંબઈ પહોંચી હતી. જોકે પોલીસ કાર્યવાહી કરે એ પહેલાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ હસ્તક્ષેપ કર્યો હતો.