હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અગ્રણી નિર્માણ સંસ્થા યશરાજ ફિલ્મ્સે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે રણવીર સિંહ સાથેની તેમની ફિલ્મ જયેશભાઈ જારદાર ઓટીટી પર રિલીઝ નહીં થાય. ફિલ્મ માત્ર ને માત્ર થિયેટર્સમાં જ રિલીઝ થશે. જયેશભાઈ જોરદારમાં અર્જુન રેડ્ડી અને બમફાડ જેવી ફિલ્મોની હીરોઇન શાલિની પાંડે પહેલીવાર રણવીર સાથે જોવા મળશે.
કોરોનાને કારણે અમલમાં આવેલા લૉકડાઉનને અનલૉક કરાયા બાદ ફિલ્મોના શૂટિંગને પરવાનગી અપાતા મનોરંજન જગતના સ્ટાર્સે પણ કામ પર જવાનું શરૂં કર્યું છે. રણવીર સિંહે પણ એની આગામી ફિલ્મ જયેશભાઈ જોરદારનું ડબિંગ શરૂ કર્યું છે. ગુરૂવારે સાંજે રણવીરને મુંબઈસ્થિત યશરાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં જોવા મળ્યો હતો. જયેશભાઈ જોરદારનું શૂટિંગ લૉકડાઉન શરૂ થયું એ પહેલાં જ પૂરૂં થઈ ગયું હતું.
યશરાજ ફિલ્મ્સ બેનર હેઠળ બની રહેલી જયેશભાઈ જોરદારના નિર્માતા છે મનીષ શર્મા. જ્યારે દિગ્દર્શન કર્યું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લેખક-દિગ્દર્શક-અભિનેતા દિવ્યાંગ ઠક્કરે. ફિલ્મની વાર્તા એક એવા ગુજરાતી યુવાનની છે જે લૈંગિક સમાનતાની વાતો પર વિશ્વાસ ધરાવે છે. ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત શાલિની પાંડે, બોમન ઇરાની, રત્ના પાઠક અને દીક્ષા જોશી મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મના અનાઉન્સમેન્ટ વખતે ૨ ઓક્ટોબરે ફિલ્મને રિલીઝ કરવાની જાહેરાત કરાઈ હતી. શિડ્યુલ મુજબ ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરીમાં પૂરૂં કરાયું હતું. પરંતુ લૉકડાઉનને કારણે પોસ્ટ પ્રોડક્શન લંબાઈ ગયું. હવે થિયેટરોને ખોલવાની મંજૂરી મળ્યા બાદ એ રિલીઝ કરવાની યોજના છે.