પોલીસે જબરજસ્તી ફિલ્મ સર્જકને હૈદરાબાદ મોકલી દીધા
સત્યા ફિલ્મથી બૉલિવુડમાં જાણીતા બનેલા ફિલ્મ સર્જક રામગોપાલ વર્માને તેમની આગામી ફિલ્મ લક્ષ્મીઝ NTRના પ્રચાર માટે વિજયવાડામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. રામગોપાલને વિજયવાડા પોલીસે અટક કર્યા બાદ કારણ જણાવ્યા વિના હૈદરાબાદ રવાના કરાયા હતા.
રામગોપાલ વર્માએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આપને જાણ કરતા દુખ થાય છે કે સાંજે ચાર વાગ્યે થનારી પ્રેસ કૉન્ફરન્સ રદ કરવામાં આવી છે. કારણ, પોલીસે અમને અટકાવવાની સાથે વિજયવાડામાં અમારા પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. એટલું જ નહીં, મને જબરજસ્તી હૈદરાબાદ મોકલી દેવાયો. એ સાથે તેમણે પૂછ્યું હતું, લોકતંત્ર ક્યાં છે? સચ્ચાઇને કેમ દબાવવામાં આવી રહી છે?
લક્ષ્મીઝ NTR તેલુગુ દેશમ પાર્ટીના સ્થાપક અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સ્વર્ગસ્થ એનટી રામા રાવના જીવન પર આધારિત છે. ફિલ્મમાં એ ઘટનાઓનો પણ સમાવેશ કરાયો છે જેમાં ઑગસ્ટ 1995માં એનટીઆરના જમાઈ ચંદ્રબાબુ નાયડુએ પાર્ટીમાં બળવો કરતા એનટીઆરે રાજીનામુ આપવાની ફરજ પડી હતી.
દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચ અને હાઇકોર્ટની મંજૂરી મળ્યા બાદ ફિલ્મ 1 મેના આંધ્ર પ્રદેશમાં રિલીઝ થઈ રહી હોવાથી ફિલ્મના પ્રચાર માટે રામગોપાલ વર્માએ ફિલ્મના દિગ્દર્શક રાકેશ રેડ્ડી તથા અન્યોની ઉપસ્થિતિમાં સાંજના સમયે વિજયવાડામાં પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું.