કોરોનાને પગલે દેશભરમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરાયું હોવાથી લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. ઘરમાં બેસીને સમય કેમ પસાર કરવો એ મોટા ભાગના લોકો માટે માથાનો દુખાવો બન્યો છે. કારણ, લૉકડાઉનને કારણે ફિલ્મ-સિરિયલ સહિતના તમામ શૂટિંગ બંધ થયા હોવાથી ચૅનલો પર તમામ કાર્યક્રમોનું રિપીટ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે. ત્યારે જેમની પાસે સગવડ છે તેઓ નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિયો, વૂટ જેવા ઍપ પર આવતી વેબ સિરીઝ જોવાનું પસંદ કરી રહ્યા છે. પણ અન્યો માટે તો લૉકડાઉન દરમ્યાન સમય પસાર કરવો મુશ્કેલ બન્યો છે. આવા સમયે સરકારે એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકરે જાહેર કર્યું છે કે દૂરદર્શન ફરી એકવાર રામાનંદ સાગરની રામાયણનું પ્રસારણ કરશે.
પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને ખુશખબરી આપી હતી કે, જનતાની માગને પગલે શનિવાર, 28 માર્ચ 2020થી રામાયણનું પુન:પ્રસારણ દૂરદર્શનની નેશનલ ચૅનલ પર શરૂ કરાશે. પહેલો એપિસોડ સવારે 9.00 વાગ્યે અને બીજો એપિસોડ રાત્રે 9.00 વાગ્યે પ્રસારિત કરાશે.
છેલ્લા ઘણા સમયથી સંભળાઈ રહ્યું હતું કે સરકાર રામાયણનું ટેલિકાસ્ટ ફરી શરૂ કરી રહી છે. પરંતુ આજે પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરી આ વાતને પુષ્ટી આપી હતી.
રામાનંદ સાગરની રામાયણ બાદ ઘણાએ રામાયણ પર સિરિયલ બનાવી પણ અરૂણ ગોવિલ, દીપિકા ચિખલિયા અને અરવિંદ ત્રિવેદીની રામાયણ જેટલો પ્રતિસાદ બીજી કોઈ સિરિયલને મળ્યો નહોતો.
આજની પેઢીના દર્શકોને કદાચ ખ્યાન નહીં હોય પણ 1987માં રામાયણનું ટેલિકાસ્ટ થતું એ સમયે દેશભરમાં જાણે સ્વંયભૂ લૉકડાઉન થઈ જતું. હવે જ્યારે કોરોનાને કારણે લૉકડાઉન જાહેર થયું છે ત્યારે રામાયણ લોકોને બહાર જવા કરતા ખુશી ખુશી ઘરમાં રહેવા મજબૂર કરશે. દુનિયાભરમાં સૌથી વધુ જોવાતી ધાર્મિક સિરિયલ (650 મિલિયન વ્યુઅર્સ)નો રેકોર્ડ લિમ્કા બુકમાં નોંધાયો છે. દૂરદર્શન પર પ્રસારિત થયા બાદ રામાનંદ સાગની રામાયણનું ટેલિકાસ્ટ એનડીટીવી ઇમેજિન, ઝી ટીવી, સ્ટાર પ્લસ અને સ્ટાર ઉત્સવ પર પણ થયું હતું.
રામાયણમાં રામ (અરૂણ ગોવિલ), સીતા (દીપિકા ચિખલિયા) તરીકે અદભુત ખ્યાતિ મેળવી હતી. તો લક્ષ્મણ (સંજય જોગ), હનુમાન (દારા સિંહ), વિજય અરોરા (ઇન્દ્રજીત), લલિતા પવાર (મંથરા), મુકેશ રાવલ (વિભિષણ), શ્રીકાંત સોની (વિશ્વામિત્ર) તરીકે ભારે નામના મેળવી હતી. જ્યારે ગુજરાતી ફિલ્મ-ટીવી-નાટકના જાણીતા કલાકાર અરવિંદ ત્રિવેદીને આજે પણ લોકો રાવણના નામે જ ઓળખે છે.