આજની પેઢીના ફિલ્મ રસિયાઓ પણ રાજ કપૂર અને દિલીપ કુમારના નામથી અજાણ નથી. અને બંનેના પૈતૃક ઘર પાકિસ્તાનમાં છે એ વાત પણ સર્વવિદિત છે. મળતા અહેવાલ મુજબ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા સરકારે દિલીપ કુમાર અને રાજ કપૂરના પૈતૃક ઘરોની કિંમત નક્કી કરી છે.
પેશાવરના ડેપ્યુટી કમિશનર મુહમ્મદ અલી અસગરે કમ્યુનિકેશન એન્ડ વર્ક્સ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ બાદ દિલીપ કુમારના ચાર મારલા (પાકિસ્તાનમાં ક્ષેત્રફળ મારલામાં માપતા હોય છે, એક મારલા એટલે ૨૫.૨૯૨૯ ચોરસ મીટર)માં બનેલા ઘરની કિંમત ૮૦.૫૬ લાખ અને રાજ કપૂરના છ મારલાના ઘરની કિંમત ૧.૫ કરોડ રૂપિયા નક્કી કરાઈ છે. દિલીપ કુમાર અને રાજ કપૂરનો જન્મ તેમના પૈતૃક ઘરમાં જ થયો હતો અને તેમનું બાળપણ પણ અહીં વીત્યું હતું.
પુરાતન વિભાગે પ્રાંતીય સરકાર પાસેથી આ બંને મકાનો ખરીદવા માટે બે કરોડ રૂપિયાની જોગવાઈ કરવા પણ જણાવ્યું હતું. દિલીપ કુમારનું ઘર સો વરસ જૂનું હોવાનું કહેવાય છે.
૨૦૧૪માં નવાઝ શરીફની સરકારે એને રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરી હતી. એ જ રીતો હવે કપૂર હવેલીની પણ સાચવણી કરવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનામાં ઇમરાન ખાનની સરકારે આ ઐતિહાસિક મકાનોના સંરક્ષણ માટે પૈતૃક ઘરો ખરીદવાનો નિર્ણય લીધો હતો.