ઝીરોથી હીરો બનનાર અભિનેતા નવાજુદ્દીન સિદ્દિકીનું લગ્નજીવન ખરાબે ચઢ્યું છે. નવાઝની પત્ની આલિયાએ ગંભીર મુદ્દાઓને લઈ છૂટાછેડા માટે લીગલ નોટિસ મોકલાવી છે. આ વાત ખુદ આલિયાએ ઝી ટીવી સાથેની મુલાકાતમાં કહી હતી.
આલિયાએ જણાવ્યું કે એનું લગ્નજીવન કદી પાટે ચઢ્યું જ નહોતું. નવાજુદ્દીનના ભાઈને કારણે અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ હતી. જોકે આલિયાએ એનો કોઈ ખુલાસો કર્યો નહોતો.
મુલાકાત દરમ્યાન આલિયાએ જણાવ્યું કે નવાજુદ્દિનને 7 મેના લીગલ નોટિસ મોકલાવી છે. જોકે અભિનેતાએ હજુ સુધી નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી. આલિયાના વકીલે પણ જણાવ્યું હતું કે લૉકડાઉનને કારણે સ્પીડ પોસ્ટથી નોટિસ મોકલી શકાય એમ ન હોવાથી ઇ-મેલ અને વૉટ્સઍપ દ્વારા નોટિસ મોકલાવી છે. વકીલે વધુમાં જણાવ્યું કે અભિનેતાએ નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી. એ સાથે આક્ષેપ કર્યો હતો કે તેઓ નોટિસને નજરઅંદાજ કરી રહ્યા છે.
આ સાતે અભિનેતાનું એક દાયકાનું લગ્નજીવન ભંગાણના આરે આવ્યું છે. આલિયાએ છૂટાછેડા સાથે ભરણપોષણની પણ માંગણી કરી છે. આલિયાએ કહ્યું કે એ ઘણા સમયથી હેરાન થઈ રહી હતી, પણ હવે અલગ થવાનો નિર્ણય લઈ ચુકી છું.
નવાજુદ્દિન સિદ્દિકી હાલ એના વતન ઉત્તર પ્રદેશના બુઢાનાસ્થિત ઘરે છે. બહેનનું અવસાન થતાં અભિનેતા બુઢાના ગયો હતો. ત્યાર બાદ એ ક્વૉરન્ટાઇનમાં છે.