આખરે આમિર ખાને એની બીજી પત્ની કિરણ રાવને પણ છૂટાછેડા આપ્યા. કારણ ભલે ગમે તે હોય પણ આમિર ખાનની પીઆર ટીમે જારી કરેલા આમિર-કિરણના જોઇન્ટ સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે, 15 વરસ સાથે રહ્યાં એમાં અમે પૂરી જિંદગીનો અનુભવ મેળવ્યો. ખુશ રહ્યાં, હસ્યાં અને અમારો સંબંધ માત્ર ભરોસો, સન્માન અને પ્રેમથી આગળ વધ્યો. હવે અમે અમારી જિંદગીનો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યા છીએ. હવે અમે પતિ-પત્ની તરીકે નહીં પણ કૉ-પેરન્ટ્સ અને એક બીજાના પરિવાર તરીકે રહીશું. અમે થોડા સમય પહેલાં અલગ થવાની યોજના બનાવી હતી અને હવે અમે અલગ થઈ ગયા છીએ.
આમિર-કિરણના પ્રેમભર્યા જોઇન્ટ સ્ટેટમેન્ટ જોઈ એવું લાગી રહ્યું છે કે બધું ‘પરફેક્ટ’ હોવા છતાં નવો અધ્યાય શરૂ કરવા છૂટાછેડા લેવા જરૂરી છે.
તો એક અંગ્રેજી અખબારનાં ભૂતપૂર્વ તંત્રીએ એમનાં ટ્વીટમાં લખ્યું હતું કે, આવા સ્ટેટમેન્ટનો ડ્રાફ્ટ તૈયાર કરના પીઆર સ્ટુપિડ છે, જો સંબંધોમાં મીઠાશ હોય તો કોઈ છૂટાછેડા શું કામ લે. અને હકીકત એ છે કે આમિર ખાન મીડિયા પર નિયંત્રણ ધરાવતો હોવાથી બ્રેકઅપનું સાચું કારણ ક્યારેય જાણવા નહીં મળે.
શનિવારે આમિર-કિરણના છૂટાછેડાના સમાચાર ચાહકો માટે ચોંકાવનારા છે.
આમિરે પંદર-સોળ વરસનાં લગ્નજીવન બાદ છૂટાછેડા લીધા હોય એવું આ બીજીવાર બન્યું છે.
આમિરે એના પહેલાં લગ્ન બાળપણની સખી અને એની પડોશમાં રહેતી રીના દત્તા સાથે કર્યાં હતાં. એક સમય એવો હતો કે આમિર લોહીથી રીનાને પ્રેમપત્ર લખતો હતો. પણ લગ્ન કર્યાંના સોળ વરસ બાદ આમિરે રીનાથી અલગ થવાનું નક્કી કર્યું.
આમિર અને રીના અલગ થયા એ પહેલાં 2001માં આમિર કિરણને લગાનના સેટ પર મળ્યો હતો. કિરણ આશુતોષ ગોવારીકરની સહાયક હતી. એવું કહેવાય છે કે લગાનના સેટ પર જ બંનેની નજરો મળી. 2002માં રીના સાથે છૂટાછેડા થયા બાદ આમિર અને કિરણ દોઢેક વરસ લિવ-ઇનમાં રહ્યાં અને 2005માં લગ્ન કર્યા. કિરણ રાવથી આમિરને એક દીકરો આઝાદ છે. તો પહેલી પત્નીના બે બાળકો ઝુનેદ અને આઇરા છે.