બૉલિવુડમાં આજકાલ સારાને બદલે ખરાબ ન્યુઝ વધુ સાંભળવા મળે છે. લૉકડાઉન શરૂ થયા બાદ એક ડઝનથી વધુ કલાકાર-કસબીઓ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા. કોઈ બીમારીને કારણે તો અમુક વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુ પામ્યા હતા. તો આત્મહત્યા દ્વારા પણ અમુક કલાકારોએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. બૉલિવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા પ્રકરણ બૉલિવુડની સાથે મહારાષ્ટ્ર સરકારને પણ ધ્રુજાવી રહ્યુ છે ત્યાં ઓર એક ટીવી કલાકાર સમીર શર્માએ આત્મહત્યા કરી હોવાના સમાચારને કારણે ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ છે.
44 વરસના સમીરે જ્યોતિ, કહાની ઘર ઘર કી, લેફ્ટ રાઇટ લેફ્ટ, ઇસ પ્યાર કો ક્યા નામ દૂ જેવી અનેક સિરિયલો કરનાર સમીર શર્માએ બે દિવસ પહેલાં એના કિચનના પંખા પર લટકી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. બિલ્ડિંગના વૉચમેનને સમીરના શરીરને લટકતું જોતાં સોસાયટીના પદાધિકારીઓને વાત કરી ત્યારે સમીરે આત્મહત્યા કરી હોવાની જાણ થઈ હતી. જોકે કેસની તપાસ કરી રહેલી પોલીસને સમીરના ઘરમાંથી સુસાઇડ નોટ મળી નહોતી.
મૂળ દિલ્હીના સમીર શર્માએ અભ્યાસ પૂરો કર્યા બાદ ઍડ એજન્સીમાં કામ કર્યા બાદ બેંગલોર ખાતે રેડિયો સિટીમાં નોકરી કરી. ત્યારે બાદ અભિનયમાં કરિયર બનાવવા મુંબઈ આવ્યો. સ્ટાર વનની સિરિયલ દિલ ક્યા ચાહતા હૈથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી. કહાની ઘર ઘર કીમાં ક્રિશ્ના અગરવાલના પાત્રએ સમીરને ખ્યાતિ અપાવી. સમીર શર્માએ 2014માં આવેલી હસી તો ફસી ફિલ્મથી બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી.
સુશાંત સિંહ રાજપુતે આત્મહત્યા કર્યા બાદ સમીરે એના ટ્વીટર પર લખ્યું હતું કે સુશાંત એવી વ્યક્તિ છે જે આત્મહત્યા કરી શકે નહીં.