2018માં ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર મી ટૂનું ગ્રહણ લાગ્યું અને અનેક કલાકારોના ચહેરા પ કાલિમા પાથરી ગયું. એમાં પણ સૌથી વધુ કેસ ચર્ચાયો હોય તો એ છે આલોકનાથનો. સંસ્કારી અભિનેતાનું લેબલ ધરાવતા આલોકનાથ ઘણા દિવસો સુધી ભૂગર્ભમાં રહ્યા. મહિનાઓ સુધી મામલો છાપે ચઢ્યો. આટલા મહિના બાદ ફરી આલોકનાથ ચર્ચામાં આવ્યા છે. જોકે કારણ મી ટૂ નથી પણ એક ફિલ્મ છે જેના વિશે સાંભળી બધા ચોંકી ઉઠ્યા. અભિનેતા કોઈ બીજા વિવાદમાં નથી ફસાયા પણ મી ટૂ પર બની રહેલી ફિલ્મમાં તેઓ જજની ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મમાં આલોકનાથ ન્યાયાધીશની ભૂમિકા ભજવી રહ્યા છે જે એક બાળકી પર દુરાચાર કરનારને સજા સંભળાવે છે. આને પગલે અભિનેતા પર આક્ષેપ કરનારી લેખિકા વિન્તા નંદા સ્તબ્ધ છે.
નાસિર ખાન દિગ્દર્શિત ફિલ્મ મૈંભીની કાસ્ટિંગ વિશે સાંભળી વિન્તાએ કહ્યું કે, મારે શું પ્રતિક્રિયા આપવી એ મને ખબર નથી. આવી હાસ્યાસ્પદ કાસ્ટિંગ અંગે સાંભળ્યું ત્યારે મારૂં મન, મારૂં દિલ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સાથે હતું. મારી નજર ટેલિવિઝન પરથી હટાવી શકતી નહોતી કારણ હું એમને જોવા માંગતી હતી. હાલ હું ભગવાનને પ્રાર્થના કરી રહી છું કે સરહદ પર શાંતિ સ્થપાય. એ સિવાય હું બજું કશું વિચારી શકતી નથી.