ઉર્દુના વિવાદિત લેખક સઆદત હસન મંટોની વાર્તાઓ આ વખતે મંટો રીમિક્સ નામે પરદા પર આવવા તૈયાર છે. ફિલ્મસર્જક શ્રીવાસ નાયડુની મંટો રીમિક્સમાં ખાસ કરીને એવી વાર્તાઓ લેવામાં આવી છે જેમાં તેમણે સ્ત્રી-પુરુષના સંબંધો અંગે લખ્યું હોય. આ એક એન્થોલૉજી ફિલ્મ છે. બૉલિવુડમાં એન્થોલૉજી ફિલ્મનું ચલણ હમણાં શરૂ થયુ છે. આ પ્રકારની ફિલ્મમાં એક સળંગ કથા નથી હોતી પણ ચાર-પાંચ વાર્તાઓ હોય છે. ક્યારેક એ એકબીજા સાથે સંકળાયેલી હોય છે તો ઘણીવાર એક બીજાથી સ્વતંત્ર હોય છે. મંટોએ ભલે 1930થી 1950ના દાયકામાં વાર્તાઓ લખી હોય પણ મંટો રીમિક્સમાં તેમની ચાર વાર્તાઓને 2021ના વાઘા પહેરાવાયા છે.
ફિલ્મનું નિર્માણ અમેરિકન કંપની ન્યૂફ્લિક્સ માટે મુંબઈ સ્થિત પ્રણતિ નાયડુ ફિલ્મ્સે કર્યુ છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈને અડીને આવેલા વજ્રેશ્વરી ખાતે કરવામાં આવ્યું છે. ફિલ્મ ન્યૂફ્લિક્સ ઓટીટી પર રિલીઝ કરાશે.
સ્ત્રી-પુરુષના સંબંધો મંટોનો પસંદગીનો વિષય રહ્યો છે. મંટોની વાર્તાઓનો ઘણો વિરોધ થયો, કોર્ટમાં કેસ પણ થયા. પણ મંટોનું કહેવું હતું કે, જો તમને મારી વાર્તાઓ અશ્લીલ કે ગંદી લાગતી હોય તો જે સમાજમાં તમે રહો છો, એ અશ્લીલ અને ગંદો છે. મારી વાર્તાઓ તો માત્ર હકીકતની રજૂઆત કરે છે.
ફિલ્મના દિગ્દર્શક શ્રીવાસ નાયડુ કહે છે કે, મંટો રીમિક્સમાં પણ સભ્ય સમાજના સ્ત્રી-પુરુષોના સંબંધો દર્શાવાયા છે. બંધ દરવાજાની અંદરની જિંદગીનું પોસ્ટમોર્ટમ છે. અહીં એક એવો સમાજ સામે આવે છે જે વિચલિત કરી દે છે. તેમણે કહ્યું કે એન્થોલૉજીમાં સામેલ ચાર વાર્તાઓમાં સમાજ અને સ્ત્રી-પુરુષના સંબંધોની ઓળખની સાથે મનોવિજ્ઞાન, વ્યંગ અને કટાક્ષ પણ છે. ફિલ્મને હાલ દેશ-વિદેશના વિવિધ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવામાં આવી રહી છે.
યશ ઠાકુર, શ્રીવાસ નાયડુ અને રવિ દુબે દ્વારા નિર્મિત ફિલ્મ મંટો રીમિક્સમાં બૉબી વત્સ, કંચન અવસ્થી, મૃણાલિની, અનાયા સોની, આદિતા જૈન, શિવ શર્મા, હંસા સિંહ, હરપ્રીત કૌર, મનોહર તેલી, ચંદ્રશેખર યાદવ, કાજલ ચૌહાણ અને કાયરા રાઠોડની મહત્ત્વની ભૂમિકા છે.
મંટો રીમિક્સનું ટ્રેલર જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો