13 એપ્રિલ 2019ના જલિયાંવાલા બાગમાં થયેલા નરસંહારને સો વરસ થયા. એક સદી વીતી હોવા છતાં બ્રિટિશ સરકારના કાળા કાયદા રૉલેટ ઍક્ટનો વિરોધ કરવા ભેગા થયેલા હજારો નિર્દોષ ભારતીયોની જનરલ ડાયરે કત્લેઆમ કરી હતી. હત્યાકાંડ અંગે બ્રિટિશ સરકારે હજુ સુધી માફીનો એક હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નથી. આજે પણ જલિયાંવાલા બાગના સામુહિક કત્લેઆમ અંગે દેશભરમાં આક્રોશની લાગણી ફેલાયેલી છે. વિશ્વભરમાં અરેરાટી ફેલાવનાર હત્યાકાંડની સોમી વરસી નિમિત્તે યલો ટર્બન ફિલ્મ્સના સર્વેસર્વા સરબજીત બૉની દુગ્ગલે “જલિયાંવાલા બાગ 1919…હન્ડ્રેડ યર્સ લેટર” ફિલ્મની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે સરબજીત દુગ્ગલે ફિલ્મી ઍક્શન સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, ફિલ્મ હત્યાકાંડના બેકડ્રોપ પર આધારિત હોવા છતાં આજના જમાનાની મોડર્ન ફિલ્મ છે. ફિલ્મમાં બૉલિવુડ અને હૉલિવુડના દિગ્ગજ કલાકારો હશે અને જૂન-જુલાઈમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરાશે. ફિલ્મનો થોડો હિસ્સો ભારતમાં જલંધર, અમૃતસર, મુંબઈ ખાતે શૂટ કરાશે તો મોટાભાગનું શૂટિંગ યુકેમાં થશે.
સરબજીત દુગ્ગલના જણાવ્યા મુજબ ફિલ્મમાં હિંસાનો છાંટો સુદ્ધાં નહીં હોય. ફિલ્મમાં લવ એન્ગલની સાથે પ્રેમનો સંદેશ પણ.
અગાઉ લંડન ડ્રીમ્સ બનાવી ચુકેલા સરબજીત દુગ્ગલનું કહેવું છે કે, આજની પેઢી રાષ્ટ્રભક્તિ ધરાવતી ઐતિહાસિક ફિલ્મને ઉમળકાભેર આવકારી રહી હોવાથી અમને પૂરી ખાત્રી છે કે ભારતીય ઇતિહાસના સૌથી કાળાદિન પર આધારિત ફિલ્મને પણ તેઓ વધાવી લેશે. દુગ્ગલે વધુમાં જણાવ્યું હતું કે તેઓ ફિલ્મને એપ્રિલ 2020માં રિલીઝ કરવા માંગતા હોવાથી ટૂંક સમયમાં ફિલ્મના શૂટિંગની શરૂઆત કરશે.