ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે કેન્દ્રય ગૃહ મંત્રાલયને સૂચન કર્યું છે કે સમગ્ર દેશમાં ઓગસ્ટ મહિનાથી થિયેટરો ફરી ખોલવાની પરવાનગી આપવામાં આવે. મંત્રાલયના સેક્રેટરી અમિત ખરેએ આ બાબત સીઆઈઆઈ મીડિયા કમિટીને શુક્રવારે જણાવી હતી. તેમણે કહ્યું કે આ અંગે તેમણે હૉમ સેક્રેટરી અજય ભલ્લાને આ અંગે વાત કરી છે અને તેઓ આ મામલે અંતિમ નિર્ણય લેશે.
ખરેએ સૂચન કર્યું હતું કે વહેલી તકે એટલે કે ૧ ઓગસ્ટથી દેશભરના થિયેટરોને ખોલવાની પરવાનગી આપવામાં આવે, નહીં તો ૩૧ ઓગસ્ટ સુધીમાં તો પરવાનગી મળવી જાઇએ. આને માટે મંત્રાલયે એક સીટ અને એક રો ખાલી રાખી દર્શકોને બેસાડવાનું સૂચન કર્યું છે. અને આ નિયમનો કડકાઈપૂર્વક પાલન કરવામાં આવે. કોરોના મહામારીને પગલે માર્ચ મહિનાથી થિયેટરો બંધ કરવામાં આવ્યા ત્યારથી થિયેટરમાં એક પણ ફિલ્મ દર્શાવવામાં આવી નથી.
ખરેએ વધુમાં જણાવ્યું કે, સૂચના અને પ્રસારણ મંત્રાલયના સૂચનો પર ગંભીરતાથી વિચારણા થઈ રહી છે. જોકે ગૃહ મંત્રાલયે આનો કોઈ જવાબ આપ્યો નથી. આ મીટિંગમાં થિયેટર માલિકો પણ ઉપિસ્થત રહ્યા હતા અને તેમણે આ સૂચનનો વિરોધ કરતા જણાવ્યું કે માત્ર ૨૫ ટકા દર્શકો સાથે થિયેટર શરૂ કરીએ એના કરતા સારૂ છે કે બંધ જ રાખવામાં આવે.