રાષ્ટ્રપિતા ગાંધીજી અંગે અગણિત પુસ્તકો, ડૉક્યુમેન્ટ્રી, ફિલ્મ ઉપરાંત એટલું સાહિત્ય ઉપલબ્ધ છે કે લોકો તેમની કોઈ વાતથી અજાણ નહીં હોય. પરંતુ ગાંધીજીની દોઢસોમી જન્મજયંતિ પ્રસંગે સૌથી વધુવાર ગાંધીજીની ભૂમિકા ભજવવા માટેનો ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ ધરાવતા દીપક અંતાણી પ્રયોગાત્મક હિન્દી નાટક એમકે ગાંધી હાજિર હો લઈને આવ્યા છે. તાજેતરમાં નાટકનો પ્રીમિયર અમદાવાદ ખાતે યોજાયો હતો જેને દર્શકોનો જબ્બર પ્રતિસાદ મળ્યો.
એમકે ગાંધી હાજિર હો અંગે દીપક અંતાણીએ ફિલ્મી ઍક્શનને જણાવ્યું હતું કે, ગાંધીજીના જીવનમાં બનેલી ઘટાનાઓ પરથી પ્રેરણા લઈને લખાયેલું કાલ્પનિક નાટક છે. વિદેશીઓને જ નહીં, ભારતીયોમાં પણ ગાંધીજી વિશે અનેક ગેરમાન્યતાઓ ફેલાયેલી છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ સંશોધન વગરના લેખો, મહાત્મા ગાંધીના અમુક નિર્ણયો અંગેના વિવાદ પાછળના તથ્યો જાણ્યા વગર બાપુ માટે પૂર્વગ્રહ ધરાવતા થઈ જાય છે. આજની પેઢીને આઝાદીની લડત કે ભાગલા વખતની પીડા કેટલી દુખદાયક હતી એની જાણકારી નથી. નાટક ભલે ફિક્શન હોય પણ અમે નાટક દ્વારા આ વાત લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. નાટક એક કાલ્પનિક સિચ્યુએશન છે. પણ એમાં જે ઘટનાઓનો ઉલ્લેખ છે એ તમામ ઐતિહાસિક તથ્યો પર આધારિત છે.
નાટકમાં અમે ગાંધીજીને કોર્ટ રૂમના આરોપીના કઠેડામાં ઊભા રાખ્યા છે (હકીકતમાં નાટકમાં કોઈ સેટ નથી પણ કાલ્પનિક કોર્ટ છે) અને જનતાના પ્રતિનિધિ એવા વકીલ દ્વારા પૂછાતા પ્રશ્નોના જવાબમાં ગાંધીજી દરેક બાબતનો ખુલાસો કરતા જાય છે. પછી એ ભાગલાની વાત હોય કે બ્રહ્મચર્યની કસોટીની. નાટકમાં ગાંધીજી વિશેની તમામ ગેરસમજણો, ગેરમાન્યતાઓ અંગેનો ખુલાસો કરવાનો પ્રયાસ કરાયો છે.
નાટકના કલાકારો વિશે…
બે મુખ્ય કલાકારો ધરાવતા નાટકમાં મેહુલ બૂચ જનતાના પ્રતિનિધિ એવા વકીલની ભૂમિકામાં છે જે તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વથી દર્શકોના દિલ જીતી જાય છે. જોકે નાટકનું ખાસ આકર્ષણ છે ગાંધીજી બનતા દીપક અંતાણી. આબેહુબ મેકઅપ, બૉડી લેન્ગવેજ અને ઘુંટાયેલો અવાજ એકવીસમી સદીમાં પણ તમને અતીતમાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે. તો અક્ષિત વ્યાસ, કરણ વાઘેલા, ધારા ત્રિવેદી, જયરાજ જાડેજા, કૃનાલ ભટ્ટ, કલ્પેશ પટેલ સહિતના કલાકારોએ પણ તેમના પાત્રને પૂરો ન્યાય આપ્યો છે. રફિક પઠાણ વડનગરી અને દીપક અંતાણી દિગ્દર્શિત હિન્દી નાટક એમકે ગાંધી હાજિર હો એક સુંદર પ્રયાસ.