કોરોના ઓર એક એભિનેત્રીને ભરખી ગયો. ૮૦ના દાયકામાં રિશી કપૂરથી લઈ શત્રુઘ્ન સિંહા સુધી તમામ અભિનેતાઓ સાથે ફિલ્મી પરદે ચમકનાર ગીતા બહેલનું કોરોનાને કારણે નિધન થયું છે. કોરોના પોઝિટિવ થયા બાદ ગીતા બહેલને ૧૯ એપ્રિલે જુહૂ સ્થિત ક્રિટીકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં શનિવારે રાત્રે પોણા દસની આસપાસ છેલ્લો શ્વાસ લીધો.
થોડા દિવસ પહેલાં ગીતા બહેલ સાથે એનો ભાઈ અભિનેતા રવિ બહેલ, ૮૫ વર્ષીય એની માતા અને નોકરાણી એમ બધાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્રણેયને ઘરમાં જ આઇસોલેટ કરાયા હતા. પરંતુ ગીતાની તબયત બગડતા ૨૬ એપ્રિલે આઇસીયુમાં દાખલ કરાઈ. બે દિવસ વેન્ટિલેટર પર રાખવા છતાં ૬૪ વર્ષીય ગીતાને બચાવી શકાઈ નહીં.
ગીતા બહેલે પ્રખ્યાત દિગ્દર્શક રાજ ખોસલાની ફિલ્મ મૈં તુલસી તેરે આંગન કી (૧૯૭૮)થી ફિલ્મી કિરયરની શરૂઆત કરી હતી. ફિલ્મમાં આશા પારેખ, વિનોદ ખન્ના જેવા દિગ્ગજ કલાકારો હતા.
ગીતા બહેલે ૧૯૮૨માં આવેલી ગુજરાતી ફિલ્મ નસીબનો ખેલમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. મેહુલ કુમાર દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં ગીતા બહેલ ઉપરાંત આશિષ કુકી, સંગીતા નાઇક, બિટુ, અદી અને માનેક ઇરાની જેવા કલાકારો હતા.
ઉપરાંત દો પ્રેમી, જમાને કો દિખાના હૈ, મૈંને જીના સીખ લિયા, મેરા દોસ્ત મેરા દુશ્મન, નયા સફર જેવી હિન્દી ફિલ્મો ઉપરાંત અનેક પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.