કચ્છમાં યોજાતા રણોત્સવ આ વખતે કંઇક અનોખો પુરવાર થશે. કારણ, રણોત્સવની સાથે ત્યાં 28 ફેબ્રુઆરીએ ફિલ્મોત્સવનું પણ આયોજન થઈ રહ્યું છે. તિહાઈ : ધ મ્યુઝિક પીપલના અભિલાષ ઘોડાની રણોત્સવમાં ફિસ્મોત્સવની પરિકલ્પના ઘણી રોમાંચક છે. એટલું જ નહીં, કોરોના મહામારીને કારણે ઠંડી પડી ગયેલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફરી ધગધગતી કરવા આવા કાર્યક્રમ રૂપી તાપણાની તાતી જરૂર હતી. તાજેતરમાં ફિલ્મ અવૉર્ડ નાઇટની જાહેરાત અંગેની પ્રેસ કૉન્ફરન્સ અમદાવાદ ખાતે યોજાઈ હતી જેમાં કાર્યક્રમના મુખ્ય આયોજક અભિલાષ, ઘોડાએ ફિલ્મી ઍક્શન સાથેની વાતચીત દરમ્યાન ફિલ્મ એક્સલંસ અવૉર્ડ કેમ અનોખો છે એની જાણકારી આપી હતી.
અભિલાષ ઘોડાએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે જે રીતે ગતિ પકડી છે તે કાબિલેદાદ છે. અનેક સફળ ગુજરાતી ફિલ્મોએ બૉક્સ ઑફિસ ગજવી હોવાના દાખલા છે. ૨૦૧૯માં હેલ્લારો અને રેવા જેવી ફિલ્મોએ નેશનલ અવૉર્ડ મેળવી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને સન્માન અપાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પણ ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા અનેક યોજનાઓ અમલમાં મુકી છે. બૉલીવુડ અને ગુજરાતના નિર્માતાઓ વધુ સરળતાથી ગુજરાતના લોકેશન પર શૂટિંગ કરી શકે તે માટે Singal Window Permissionની પણ વ્યવસ્થા અમલમાં મુકી છે. અને તેમાં સમયાંતરે પર વધુ સુવિધા ઉપલબ્ધ થઈ શકે એ માટે રાજ્યના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા Cinematic Tourismની પણ રચના કરવામાં આવી છે.
ગુજરાતી ફિલ્મો માટે અનેક આયોજકો અવૉર્ડ નાઇટનું આયોજન કરે છે તો…
જુઓ હું ઘણા સમયથી વિવિધ સંસ્થાઓ માટે આ પ્રકારના શોના આયોજન માટે કામ કર્યું. પણ મારે જે રીતે કાર્યક્રમનું આયોજન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બિરદાવવાની પરિકલ્પના કરી હતી એ સાકાર થતી નહોતી. ઘણા સમયથી મારી પોતાની કંપની દ્વારા ઇવેન્ટનું આયોજન કરવાનું વિચારી રહ્યો હતો એ ઇચ્છા આ વરસે પૂરી થઈ રહી છે.
રણોત્સવ ખાતે ઇવેન્ટ યોજવાનું કોઈ ખાસ કારણ?
આટલા વરસોથી ગુજરાતી ફિલ્મ માટેના કાર્યક્રમ ચોક્કસ સ્થળે જ યોજાતા રહ્યા છે. બૉલિવડમાં તો વિદેશમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન થાય છે. અને મારી અદમ્ય ઇચ્છા હતી કે ગુજરાતી ફિલ્મને લગતી ઇવેન્ટ કોઈ રમણીય કે ખ્યાતિપ્રાપ્ત સ્થળે થાય. અને રણોત્સવની ખ્યાતિ તો દુનિયાભરમાં ફેલાયેલી છે. આવા સ્થળે જો ઇવેન્ટનું આયોજન થાય તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ચાર ચાંદ લાગી જાય. બસ, આ એક જ ઉદ્દેશથી અમે કચ્છના રમણીય રણમાં ફિલ્મી સિતારાઓને સન્માનવાનું વિચાર્યું. 28 ફેબ્રુઆરી ૨૦૨૧ના કાર્યક્રમનું આયોજન સફેદ રણમાં બનાવવામાં આવેલી ટેન્ટ સિટી ખાતે કરાશે.
અવૉર્ડ ફંક્શન બે વર્ષની ફિલ્મો માટે છે અને કેટલી ફિલ્મોની એન્ટ્રી આવી શકે છે? પ્રશ્નના જવાબમાં અભિલાષશે જણાવ્યું કે અમે એક સાથે ૨૦૧૯ અને ૨૦૨૦માં રિલીઝ થયેલી ફિલ્મોને એન્ટ્રી આપવાના છીએ. અને અમે જે રીતે ઇવેન્ટ ડિઝાઇન કરી છે એ હિસાબે વિક્રમ સર્જક એન્ટ્રી મળે તો નવાઈ નહીં.
કેટલી કેટેગરીમાં અવૉર્ડ અપાશે?
અત્યારે અમે ૨૬ કેટેગરી નક્કી કરી છે. પરંતુ અમુક કેટેગરી વધારવી જોઇએ એવી લાગણી મિત્રો અનુભવી રહ્યા છે એટલે આયોજકોની ટીમ સાથે એ અંગે ચર્ચા કરી નિર્ણય લઇશું.
એવોર્ડ માટે ફિલ્મ કલાકારો/કસબીઓની પસંદગી કેવી રીતે કરાશે?
એ માટે અમે એક તટસ્થ જ્યુરીને જવાબદારી સોંપી છે અને તેમનો નિર્ણય આખરી ગણાશે.
કેટલા કલાકાર કસબીઓને આમંત્રણ અપાશે?
૨૬ કેટેગરીના ચાર – ચાર નોમિની.. એન્ટ્રી મોકલનાર ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક સહિત કેટલાક જાણીતા ચહેરાઓ સહિત ૨૦૦ લોકોને આમંત્રણ આપવાનું આયોજન છે. આવનાર પ્રત્યેક મહેમાના ને આવવા-જવા, રહેવા, ભોજન, સહિતની અનેક સુવિધાની વ્યવસ્થા અમે કરી છે. આવનાર પ્રત્યેકને પૂરતું સન્માન મળે તે અમારી પ્રાથમિકતા રહેશે.
લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડની કેટેગરી રાખવામાં આવી છે? અને જો હોય તો કોને અપાશે?
હાલ એવું કોઇ આયોજન નથી.
આ સમગ્ર આયોજનમાં અભિલાષ ઘોડા સાથે ક્રિએટીવ ડિરેક્ટર તરીકે જાણીતા કલાકાર નિસર્ગ ત્રિવેદી, ટેક્નિકલ ડાયરેક્ટર તરીકે કરન ઘોડા અને વિવેક ઘોડા, નૃત્ય દિગ્દર્શક તરીકે કૃણાલ સોની, વસ્ત્ર પરિકલ્પના માટે પૌરવી જોષી તથા સમગ્ર આયોજનમાં પિયુષ સોલંકી, ધૃવા પંડ્યા, જીગર રાઠોડ, નિસર્ગ ચૌહાણ જેવી સક્ષમ નિર્માણ ટીમ જોડાયેલી છે.