ગુજરાતના ગાંધીનગરના યુવાનના બૉલિવુડમાં દિગ્દર્શક તરીકે કરિયર બનાવવાના સપનાં જોયા હતા. ફિલ્મ ઇન્સ્ટ્રીમાં કોઈને ઓળખતો ન હોવા છતાં એની ધગશ અને હિંમત ન હારવાના જન્મજાત સ્વભાવને કારણે બૉલિવુડમાં એક આગવું સ્થાન મેળવ્યું છે. એટલું જ નહીં, એણે દિગ્દર્શિત કરેલી ફિલ્મ ભવાઈ (જૂનું નામ રાવણ લીલા) 1 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. આ બહુચર્ચિત ફિલ્મના દિગ્દર્શકનું નામ છે હાર્દિક ગજ્જર.
ગાંધીનગરમાં ભણતર પૂરૂં કરી તેમની સપનાની નગરીમાં કરિયર બનાવવા મુંબઈ આવ્યા. પહેલેથી દિગ્દર્શક બનવાનું નક્કી કર્યું હોવાથી એ માટે જરૂરી ફિલ્મ ફોટોગ્રાફી, એડિટર, વિઝ્યુઅલ સુપરવાઇઝર જેવી તમામ બાબતોમાં મહારત હાંસલ કર્યા બાદ દિગ્દર્શન ક્ષેત્રે જંપલાવ્યું. વિઝ્યુઅલ ઇફેક્ટ સુપરવાઇઝર તરીકે તેમણે સિયા કે રામ, કેસિનો (ઝી-5 માટે), હાતિમ, દેવો કે દેવ મહાદેવ, ચંદ્રકાંતા જેવા 60થી વધુ ટીવી શો અને 27 ફિલ્મો કરી. એટલું જ નહીં, તેઓ એક ડઝનથી વધુ વીએફએક્સ અવૅર્ડ પણ મેળવી ચુક્યા છે. ફિલ્મી ઍક્શન સાથે તેમણે ભવાઈ ફિલ્મની સાથે તેમની કરિયર અને હિન્દી-ગુજરાતી ફિલ્મો વિશે પણ મોકળા મને વાત કરી હતી.
સૌથી પહેલા એ જણાવો કે ફિલ્મનું નામ ભવાઈ છે તો એ ગુજરાતની વિખ્યાત ભવાઈકલા પર આધારિત છે?
ના. ફિલ્મનો સમયગાળો ચાલીસેક વર્ષ પહેલાંનો છે. એ સમયે અમુક નાટક મંડળીઓ ગામે ગામ જઈ દસ-પંદર દિવસનો પડાવ નાખતા અને વિવિધ વિષયો, ખાસ કરીને ધાર્મિક કથા પર આધારિત નાટકો ભજવતા. ભવાઈમાં પણ આવી એક નાટક મંડળી અને ગામનો યુવાન કેન્દ્ર સ્થાને છે.
ફિલ્મની વાર્તા કેવા પ્રકારની છે?
ભવાઈ એક પ્રેમ કથા છે. જેમાં ગામનો યુવાન (પ્રતિક ગાંધી) જેને અભિનયનો ભારે શોખ હોય છે એને નાટક મંડળીના માલિક રાવણની ભૂમિકા સોંપે છે. નાટક મંડળીની અભિનેત્રી (એન્દ્રિતા રે) જે સીતાની ભૂમિકા ભજવે છે એના પ્રેમમાં પડે છે. નાટકના રાવણ અને સીતાના પ્રેમને કારણે ગામમાં ભારે હોબાળો મચી જાય છે. પછી શું થાય છે એ માટે તમારે ફિલ્મ જોવી પડશે.
પ્રતિક ગાંધીની પસંદગી કરવાનું કોઈ ખાસ કારણ?
મારે આ ભૂમિકા માટે સીધાસાદ યુવાનની જરૂર હતી. પ્રતિકના નાટકો ઉપરાંત ઉપરાંત એની ફિલ્મ રોંગ સાઇડ રાજુ પણ જોઈ હતી. ભવાઈના ગામડાના યુવાનની ભૂમિકા માટે એ એકદમ ફિટ હોવાથી પ્રતિકને સિલેક્ટ કર્યો.
સ્કૅમ 92 બાદ સ્ટાર બની ગયેલા પ્રતિકના નખરાં પણ વધી ગયા હશે?
જરાય નહીં. સ્કૅમ પહેલાં પ્રતિકનો જેટલો સરળ સ્વભાવ હતો એટલો જ આજે પણ છે. કોઈ ઘમંડ નહીં. એને જે કામ સોંપ્યું હોય એ નિષ્ઠાપૂર્વક ભજવે છે. જોકે એક સ્પષ્ટતા કરી દઉં કે ભવાઈ સ્કૅમ રિલીઝ થઈ એ પહેલાં જ શૂટ થઈ હતી. પણ અત્યારે ફિલ્મના પ્રચારમાં પણ પૂરો સહકાર આપી રહ્યો છે.
ફિલ્મના ટ્રેલરને લાખો વ્યુઝ મળ્યા છે, લોકોના કેવા પ્રતિભાવ મળી રહ્યા છે?
રિસ્પોન્સ ઘણો સારો છે. અને અમને વિશ્વાસ છે કે થિયેટરમાં પણ દર્શકો મોટી સંખ્યામાં ફિલ્મ જોવા જશે.
ઢોલિવુડથી બૉલિવુડમાં એન્ટ્રી કર્યા બાદ મોટાભાગના સર્જકો ગુજરાતી ફિલ્મો બનાવવાનું બંધ કરી દે છે, તમે શું વિચાર્યું છે?
આપની જાણ ખાતર ભવાઈ અગાઉ હું બે હિન્દી ફિલ્મો બનાવ્યા બાદ મેં બે ગુજરાતી ફિલ્મો વાલમ જાઓને અને ચાંદલો બનાવી છે જે ટૂંક સમયમાં રિલીઝ કરાશે. વાલમ જાઓને રોમાન્ટિક કૉમેડી ફિલ્મ છે જ્યારે ચાંદલો કાજલ ઓઝા-વૈદ્યની ટૂંકી વાર્તા પર આધારિત છે. મજાની વાત એ છે કે આ ફિલ્મમાં કાજલ ઓઝા-વૈદ્ય પહેલીવાર ફિલ્મના પરદા પર જોવા મળશે. અને બીજી વાત, ગુજરાતી મારી માતૃભાષા છે અને એના પ્રત્યે મને અગાઢ પ્રેમ છે. બૉલિવુડમાં ભલે ગમે તેટલો બિઝી હોઇશ પણ વરસમાં એક ફિલ્મ તો ગુજરાતીમાં બનાવીશ જ.
તમે કેવા પ્રકારની ફિલ્મો બનાવવા માગો છો?
તમારા સવાલનો એક વાક્યમાં જવાબ આપીશ. આજની ફાસ્ટ લાઇફમાં લાગણી-પ્રેમ હોવો પણ જરૂરી છે, એટલે પ્રેમ શું છે એ દર્શાવતી-સમજાવતી ફિલ્મો બનાવતો રહીશ.
ડૉ જયંતિલાલ ગડા (પેન સ્ટુડિયોઝ) દ્વારા પ્રસ્તુત, ધવલ જયંતિલાલ ગડા, અક્ષય જયંતિલાલ ગડાએ પાર્થ ગજ્જર અને હાર્દિક ગજ્જર ફિલ્મ્સે બૅકબેન્ચર પિક્ટર્સના સહયોગમાં બનાવાયેલી ફિલ્મ ભવાઈના મુખ્ય કલાકારો છે પ્રતિક ગાંધી, એન્દ્રિતા રે, ફ્લોરા સૈની, અભિમન્યુ સિંહ, ભાગ્યશ્રી મોટે, રાજેન્દ્ર ગુપ્તા અને મીનળ પટેલ.
ફિલ્મ 1 ઓક્ટોબર, 2021ના રિલીઝ થઈ રહી છે.