લૉકડાઉન શરૂ થયા બાદ પ્રસારભારતીએ મેગા સિરિયલો રામાનંદ સાગરની રામાયણ અને બી.આર. ચોપરાની મહાભારતનું ફરી પ્રસારણ કરવાની જાહેરાત કરી. બંને સિરિયલોએ ઇતિહાસનું પુનરાવર્તન કરવાની સાથે ટીઆરપીમાં ટોચના સ્થાને પહોંચી ગઈ. એ સાથે બંને સિરિયલના કલાકારો પણ ન્યુઝમાં ઝળકવા લાગ્યા.
મહાભારતની વાત કરીએ તો અર્જુનનું પાત્ર ફિરોઝ ખાને ભજવ્યું હતું. જોકે મહાભારત બાદ ફિરોઝ ખાન અર્જુનના નામે જ વિખ્યાત છે. બી. આર. ચોપરાના મહાભારતની કાસ્ટિંગની જવાબદારી ગુફી પેન્ટલ (ગુફીએ સિરિયલમાં શકુનીની ભૂમિકા ભજવી હતી) પર હતી. સિરિયલના દરેક પાત્રનું અદકેરૂં મહત્ત્વ હોવાથી તમામ કલાકારની આકરી કસોટી કર્યા બાદ પસંદ કરાયા હતા.
અમ્મીજાનના જન્મદિનની ઉજવણી
મહાભારતના ઑડિશન બાદ અર્જુનના પાત્ર માટે સિલેક્ટ થયેલા ફિરોઝ ખાનને નામ બદલવાની સલાહ સિરિયલના લેખક ડૉક્ટર રાહી માસુમ રઝાએ આપી હતી. એક ઇન્ટરવ્યુમાં અર્જુને કહ્યું હતું કે, રઝાસાહેબે મને કહ્યું કે, 23 હજાર કલાકારના ઑડિશન બાદ તારી પસંદગી કરવામાં આવી છે. એટલે તારૂં નામ પણ અર્જુન હોવું જોઇએ. તું લાગે છે પણ અર્જુન જેવો અને ઇન્ડસ્ટ્રીમાં પણ આ નામનો કોઈ કલાકાર નથી. આમ મહાભારતથી ફિરોઝ ખાન હંમેશ માટે અર્જુન નામધારી બની ગયો.
અર્જુને મહાભારત ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 1984માં આવેલી મંજિલ મંજિલથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. 1988માં મહાભારત શરૂ થઈ જે 1990 સુધી ચાલી. મહાભારત બાદ અર્જુને ફરી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને જિગર, તિરંગા, આદમી, ફૂલ ઔર અંગારે, કરન અર્જુન, મેંહદી, જોડી નં. વન, યમલા પગલા દીવાના-2 સહિત અઢીસોથી વધુ ફિલમોમાં કામ કર્યું છે.