દેવેન ભોજાણીનું કહેવું છે કે સિરીઝની વાર્તા ખૂબ જ હૃદયસ્પર્શી છે
૧૮ નવેમ્બરથી શેમારુ મી પર જાણીતા નિર્માતા નિર્દેશક ધર્મેશ મહેતાની ગુજરાતી વેબ સિરીઝ યમરાજ કોલિંગ સ્ટ્રીમ થવાની છે. સિરીઝના મુખ્ય કલાકારો છે દેવેન ભોજાણી અને હેલ્લારો ફેમ નીલમ પંચાલ.
સિરીઝ અંગે ધર્મેશ મહેતા કહે છે કે, આ એક એવી વ્યક્તિની વાત છે જે પરિવારની ભવિષ્ય સુધારવા તેમનો વર્તમાન ભૂલી જાય છે.
સિરીઝની વાર્તાને વિસ્તારથી સમજાવતા ધર્મેશ કહે છે કે, અમર નામની મધ્યમવર્ગી વ્યક્તિ ઘરના મોભી તરીકે સંતાનો અને પત્નીના ભાવિની સાથે પિતાની પણ તમામ જરૂરિયાતો પૂરી કરી શકે એ માટે દિવસ રાત તનતોડ મહેનત કરે છે. એમાં પોતાના પરિવારને પણ સમય આપી શકતો નથી. અને એક દિવસ એવો આવે છે કે એને યમરાજ લેવા આવી પહોંચે છે. યમરાજ સાથેની મુલાકાત બાદ એના જીવનમાં શું થાય છે એ ૧૮ નવેમ્બરથી શેમારૂ મી પર જોવાની જ મજા આવશે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શરૂઆતના ૫૦૦ એપિસોડ ઉપરાંત સુપરહિટ ગુજરાતી ફિલ્મ પાપા તમને નહીં સમજાય સહિત અનેક હિન્દી, ગુજરાતી ફિલ્મ સિરિયલના દિગ્દર્શક ધર્મેશ મહેતાની યમરાજ કોલિંગમાં દેવેન ભોજાણી ઉપરાંત દીપક ઘીવાલા, નીલમ પંચાલ, મેઝલ વ્યાસ, મીત શાહ અને ધ કૉમેડી ફેક્ટરી ફેમ મનાં દેસાઈ જોવા મળશે.
શોના મુખ્ય કલાકાર દેવેન ભોજાણી કહે છે કે, મને ઘણી ગુજરાતી ફિલ્મો અને સિરિયલોની ઑફર આવે છે પણ સ્ક્રિપ્ટ અપીલિંગ લાગે તો જ હું એ સ્વીકારું છું. પણ યમરાજ કોલિંગની વાર્તા સાંભળી મને લાગ્યું કે આ સિરીઝ કરવી જોઈએ. ખૂબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. અમર એક એવું પાત્ર છે તમને દરેક મધ્યમવર્ગી પરિવારમાં જોવા મળશે.