કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અને આ બીમારીથી મનોરંજન જગત પણ બાકાત રહ્યું નથી. કનિકા કપૂર બાદ હવે ઢોલિવુડ-બૉલિવુડ અને ટેલિવુડના દિગ્ગજ કલાકાર કિરણ કુમાર પણ કોરોના પોઝિટિવ હોવાનું જણાવાયું છે. મળતા અહેવાલ મુજબ કિરણ કુમારમાં આ બીમારીના કોઈ લક્ષણ દેખાયા નહોતા. તેમને ન તો ઉધરસ આવતી હતી કે ન તાવ. એટલું જ નહીં, તેમને શ્વાસ લેવામાં પણ કોઈ તકલીફ પડતી નહોતી. આમ છતાં તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
કિરણ કુમારે એક ચૅનલને જણાવ્યું હતું કે તેઓ મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા ત્યાં તેમને અમુક ટેસ્ટ કરાવવા જણાવ્યું જેમાં કોરોના ટેસ્ટ પણ હતો. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા કિરણ કુમાર હાલ તેમના ઘરમાં જ આઇસોલેશનમાં છે. કિરણ કુમારે વધુમાં જણાવ્યું કે મેં ૧૪ મેના ટેસ્ટ કરાવ્યો હતો. દસ દિવસ થયા પણ મારામાં કોરોનાના કોઈ લક્ષણ હજુ સુધી જણાયા નથી.
કિરણ કુમારે મજાકમાં જણાવ્યું કે મને મારા બૉર્ડિંગ સ્કૂલના દિવસોની યાદ આવી રહી છે. હું અત્યારે ત્રીજા માળે રહું છું જ્યારે મારો પરિવાર બીજા માળે છે. હું જાતે મારો પલંગ તૈયાર કરૂં છું અને જાતે મારા કપડા ધોઉં છું. હવે મારો ટેસ્ટ ૨૫ કે ૨૬ તારીખે કરાવીશ.
કિરણ કુમારને હિન્દી ફિલ્મોમાં કામ મળતું બંધ થયું એટલે તેમણે ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી કરી અને તેઓ ગુજરાતના એન્ગ્રી યંગ મેન તરીકે ખ્યાતિ પામ્યા. તેમની ફૂટપાથની રાણી, ગંગાપુરની ગંગા, રાખનાં રમકડાં, અલબેલી નાર, મોટાભા, જાગ્યા ત્યારથી સવાર જેવી અનેક ફિલ્મો સુપરહિટ થઈ હતી. ગુજરાતી ફિલ્મમાં સ્ટારડમ ભોગવી રહ્યા હતા ત્યારે તેમને તેઝાબ ફિલ્મની ઑફર આવી. આ ફિલ્મની તેમની લોટિયા પઠાનની ભૂમિકા એટલી પોપ્યુલર થઈ કે ફરી હિન્દી ફિલ્મોની ઢગલાબંધ ઑફરો આવવાની શરૂઆત થઈ. ઉપરાંત તેમણે મિલી, ગૃહસ્થી, ઝિંદગી જેવી અનેક લોકપ્રિય સિરિયલોમાં પણ કામ કર્યું છે.
આ અગાઉ બૉલિવુડની ગાયિકા કનિકા કપૂર, નિર્માતા કરિમ મોરાની અને તેમની પુત્રીઓ ઝોઆ અને શાઝા કોરોના સંક્રમિત થયા હતા. જોકે હવે તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.