દેશની સૌથી લોકપ્રિય સિરીઝમાંની એક સીઆઈડી જે ૨૧ વરસ સુધી ટેલિકાસ્ટ થઈ હતી એ ક્રાઇમ સિરીઝના મુખ્ય પાત્રોને દર્શકો આજે પણ ભૂલ્યા નથી. એવો એક કલાકાર છે સીઆઇડી શોમાં સિનિયર ઇન્સપેક્ટર દયાનું પાત્ર ભજવી ખ્યાતિ મેળવનાર દયાનંદ શેટ્ટી. એનું કહેવું છે કે ઇન્વેસ્ટિગંટિવ શો ફોર્મેટમાં હજુ ઘણા પ્રયોગો થવાના બાકી છે, પરંતુ શરત એટલી કે એ તર્કબદ્ધ લખવામાં આવે. સીઆઈડીમાં દયા માટે એક ડાયલોગ ઘણો પૉપ્યુલર થયો હતો, દયા દરવાજા તોડ દો.. હવે આ દરવાજા તોડનાર પડછંદ અભિનેતા ટૂંક સમયમાં એમએક્સ પ્લેયરના ક્રાઇમ શોમાં નજરે પડશે.
જોકે શો વિશે દયા કંઇ કહેવાના મૂડમાં નહોતો. એણે માત્ર ક્રાઇમ સિરીઝ અંગે વાત કરતા જણાવ્યું કે, આ પ્રકારના શો બનાવવામાં અમુક મર્યાદા આવતી હોય છે. આવા શો માટે દર્શક કહેતા હોય છે કે શોમાં રિપીટેશન આવે છે કે ઇન્ટરેસ્ટિંગ નથી. તમે વિવિધ ચૅનલ પર આવતા ક્રાઇમ શો જુઓ તો એમાં ઘણી સામ્યતા જોવા મળતી હોય છે. જોકે અમુક ક્રાઇમ શોના લેખક ઘણી સારી સ્ટોરીઝ આપી રહ્યા છે. જો શો ઇન્ટરેસ્ટિંગ હશે તો જ એને દર્શકો મળશે. હું સીઆઇડીનું જ ઉદાહરણ આપું તો એ ૨૧ જાન્યુઆરી ૧૯૯૮માં શરૂ થયો હતો. જ્યારે એનો છેલ્લો એપિસોડ ૨૭ ઓક્ટોબર ૨૦૧૮માં રજૂ થયો હતો.