બૉલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે ઍવોર્ડથી નવાજવામાં આવશે. દમદાર અભિનય અને જીવનભર ભારતીય સિનેમાને યોગદાન આપનાર અમિતાભ બચ્ચનને ૨૦૧૮નો દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ આપવામાં આવશે.
સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયાથી લઈ દરેક જગ્યાએ અમિતાભ બચ્ચનના ચાહકોની સાથે દેશ-દુનિયામાં ઉત્સવનો માહોલ સર્જાયો છે.
પ્રકાશ જાવડેકરે એમના ટ્વીટમાં અમિતાભ બચ્ચનને અપાનારા આ ઍવોર્ડ અંગે જાણકારી આપતા લખ્યું કે, મહાનાયક અમિતાભ બચ્ચન જેમણે બે પેઢીઓને મનોરંજનની સાથે પ્રેરણા આપી છે, તેમને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય સર્વસંમતિથી લેવાયો છે.