મુંબઈમાં પડેલા ભારે વરસાદને કારણે દોઢ દિવસ માટે પધારેલા કોકોનટ ચા રાજાની વિસર્જન યાત્રાનું આયોજન પાંચમા દિવસે કરવાનું નક્કી કરાયું હતું. નક્કી થયેલા કાર્યક્રમ મુજબ શનિવારે કોકોનટ ચા રાડાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી.
યાત્રા માટે ખાસ કોકોનટ ચા રાજાનો રથ તૈયાર કરાયો હતો. તો મહારાષ્ટ્રભરથી આવેલા ત્રણ હજારથી વધુ કલાકારોએ ઢોલ-ત્રાસા, બેન્ડ, લેઝિમ અને નૃત્ય થકી વિસર્જન યાત્રાના સમગ્ર રૂટને આધ્યાત્મકતાના રંગે રંગી દીધો હતો. આટલું ઓછું હોય તેમ ઉપસ્થિત રહેલી અનેક ફિલ્મી હસ્તીઓએ પણ વિસર્જન યાત્રાની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
વિસર્જન યાત્રામાં કોકોનટ મોશન પિક્ચર્સના રિશ્મન મજિઠિયા ઉપરાંત દલજિત કૌર, મુનમુન દત્તા, રાકેશ બેદી, રજિત કપૂર, બાળ કલાકાર ક્રિશ ચૌહાણ, અંતરા બેનર્જી, આમ્રપાલી ગુપ્તા, શેરનાઝ પટેલ, મકરંદ દેશપાંડે સહિત અનેક કલાકાર-કસબીઓ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે કોકોનટ મીડિયા બોક્સના સીઇઓ રશ્મિન મજિઠિયા અને કેયુર શેઠે જણાવ્યું હતું કે, કોકોનટ ચા રાજા દ્વારા છેલ્લા પાંચ વરસથી થતી ઉજવણીનો ઉદ્દેશ ઉમદા હેતુ માટેનો છે. દર વરસે એક થીમ પર ગણેશોત્સવ ઉજવાય છે. આ વરસે અમે પર્લ એન્ડ ગૉલ્ડ થીમ રાખી છે જે પ્યોરિટી (શુદ્ધતા)ના પ્રતીક સમા છે. ઉપરાંત અમે આઈ ઓમ યોર બાપા નામે એક પહેલ શરૂ કરી છે જેના અંતર્ગત પાંચ હજાર સામાન્ય જનની ઇચ્છાની પૂર્તિ કરાશે.