વૈશ્વિક મહામારી કોરોનાનો પ્રકોપ ઓછો થાય એ માટે બૉલિવુડના અભિનેતા અને ભાજપના ગોરખપુરના સાંસદ રવિ કિશને હવનનું આયોજન કર્યું હતું. મુંબઈસ્થિત તેમના ઘરે હવનમાં આહુતિ આપવાની સાથે દેશને કોરોનાથી વહેલી તકે છૂટકારો મળે એ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.
હવન બાદ રવિ કિશને જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં હવનનું માહાત્મ્ય ઘણું છે. હવનને કારણે વાતાવરણ શુદ્ધ થતું હોય છે. આજે અક્ષય તૃતિયા પણ છે. આજના દિવસે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું હતું, તો હવે મહામારી ખતમ થાય અને દેશને કોરોનાથી છૂટકારો મળે એ માટે હવન કર્યો હતો.
ઉપરાંત રવિ કિશને દેશની જનતાને લૉકડાઉનની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનો આગ્રહ કરવાની સાથે કહ્યું હતું કે આ મુશ્કેલ દોર ચાલી રહ્યો છે. સતત ઘરમાં રહેવું આસાન નથી, પણ કોરોના પર જીત મેળવવા થોડો સમય સંયમ જાળવવો જ પડશે. એ સાથે સરકાર દ્વારા જારી કરાયેલા તમામ આદેશોનું પાલન કરવા પર પણ ભાર મુક્યો હતો.