અનેક ટીવી સિરિયલ અને ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી અનુપમા પાઠકે રવિવારે રાત્રે દહીસરસ્થિત એના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. અંતિમ પગલું ભરવા અગાઉ અનુપમાએ એક સુસાઇડ નોટ પણ લખી છે જેમાં એણે આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવાના કારણો જણાવ્યા હતા.
અનુપમા મુંબઈમાં દહીસર ચેક નાકા પાસે આવેલા ઠાકુર મૉલની બાજુમાં આવેલી એમએમઆરડીએની બિલ્ડિંગમાં રહેતી હતી. રવિવારે આત્મહત્યા કરવા અગાઉ લખેલી સુસાઇડ નોટમાં એણે લખ્યું હતું કે, મનીષ ઝા નામની વ્યક્તિ મે મહિનામાં એનું ટુ વ્હીલર લઈને ગયો હતો. ત્યારે એ એના ઘરે હતી. પરંતુ એ દહીસર આવી ત્યારે મનીષે એની મોટરસાઇકલ પાછી આપવાની ના પાડી દીધી. ઉપરાંત એક કંપનીમાં એણે પૈસા રોક્યા હતા જે ડિસેમ્બર મહિનામાં વ્યાજ સહિત પાછા આપવાની હતી. હવે એ પૈસા આપવાની ના પાડે છે.
અનુપમાએ માત્ર સુસાઇડ નોટ જ નહોતી લખી પણ આત્મહત્યા કરવા અગાઉ ફેસબુક અકાઉન્ટ પર લાઇવ સેશન દરમ્યાન એની તકલીફો પણ જણાવી હતી.
અનુપમાના ઘરેથી મળેલી સુસાઇડ નોટના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે. કાશીમીરા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સેપેક્ટર સંજય હઝારેએ જણાવ્યું કે અમે કેસની તપાસ કરી રહ્યા છીએ. જોકે તપાસ પૂરી થયા બાદ દોષીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. અનુપમા પાઠક સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપુત મામલે અવાજ ઉઠાવી ચુકી છે.
આ વરસે મનોરંજન જગતમાં આત્મહત્યાના અનેક બનાવો બન્યા છે. કુશલ પંજાબી, સેજલ શર્મા, સુશાંત સિંહ રાજપુત, સમીર શર્મા, મનમીત ગ્રેવાલ જેવા કલાકારોએ આત્મહત્યા કરી છે. તમામ કેસમાં જો કોઈ કૉમન ફેક્ટર હોય તો એ છે ડિપ્રેશન.