દેશભરમાં કોરોનાની બીજી લહેરે કેર વર્તાવ્યો છે અને રોજ નવા ચારેક લાખ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. એક સાથે આટલી સંખ્યામાં સંક્રમિતો વધવાને કારણે આરોગ્ય સેવા પણ ખોડંગાઈ છે. સમયસર સારવાર ન મળવાથી, ઑક્સિજન મળતો ન હોવાથી કે અન્ય સુવિધાઓ ઉપલબ્ધ ન થવાથી દરદીએ જીવ ગુમાવવો પડે છે. આને કારણે અનેક જણ સરકાર પર નિશાન સાધી રહ્યા છે. દરમ્યાન, ટેલિવિઝનની લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ સરકારને દોષ આપવાને બદલે લૉકડાઉનના નિયમોનું પાલન કરવાનું આહવાન કર્યુ છે. દિલીપ જોશીએ વધુમાં કહ્યું હતું કે અત્યારે જેટલી કાળજી આપણે લઈ રહ્યા છીએ એટલું જ ધ્યાન લૉકડાઉન પછી પણ આપણે રાખવાનું રહેશે. કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં અને દરેકે માસ્ક પહેરવો જરૂરી છે.
દિલીપ જોશીએ વધુમાં જણાવ્યુ કે, માત્ર સરકારને દોષ આપવાને બદલે લોકોએ તેમની જવાબદારી સમજવાની સાથે સહકાર આપવો જોઇએ. આપણે બધા સાવધ નહીં રહીએ અને આદેશોનું પાલન નહીં કરીએ તો મહામારી કદી નહીં જાય.
અત્યારે ઘણી સિરિયલોના શૂટિંગ મહારાષ્ટ્રની બહાર થઈ રહ્યા છે પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ હાલ બંધ રાખવામાં આવ્યુ છે. આ અંગે દિલીપ જોશીએ જણાવ્યુ કે, મને ભગવાન પર ભરોસો છે. દરેક જણ ઘરે છે, કુટુંબ સિવાય બીજું કંઈ મહત્ત્વનું નથી.