હિન્દી-ગુજરાતી ફિલ્મો, નાટકો અને સિરિયલોના કલાકાર અરવિંદ રાઠોડે આજે અવસાન પામતા મનોરંજન જગતે એક પ્રતિભાશાળી કલાકાર ગુમાવ્યો છે.
મેરા નામ જોકરમાં અરવિંદ રાઠોડ
મુંબઈમાં આવવા પહેલાં અમદાવાદ ખાતે રહેતા અરવિંદ રાઠોડ નાનપણથી કળા પ્રત્યે રસ ધરાવતા હતા. જોકે ટેલરિંગ શોપ ધરાવતા પિતાની ધાકને કારણે ઘરમાં જણાવ્યા વગર સંગીત શીખ્યા. સંગીતની તાલિમનો કિસ્સો પણ ઘણો રસપ્રદ છે. તેમના ઘરની બાજુમાં રહેતી એક છોકરીને સંગીત શીખવવા આવતા. અરવિંદ ચોરીછુપી બધું સાંભળતો અને એકલો રિયાઝ કરતો. એક દિવસ અરવિંદ ગીત ગાઈ રહ્યા હતા ત્યારે સંગીતના માસ્તરે સાંભળ્યા બાદ પૂછ્યું આ તો મારૂં ગીત છે તું ક્યાંથી શીખ્યો? અરવિંદ જરાય ગભરાયા વગર કહ્યું તમારી પાસે. તમે ધાબા પર સંગીત શીખવતા ત્યારે હું ચોરીછુપી તમને સાંભળતો અને શીખી ગયો. અરવિંદની નિખાલતાથી ખુશ થયેલા માસ્તરે મફત સંગીત શીખવવાની ઑફર કરી. અરવિંદ મેન્ડોલિન શીખવવા વિનંતી કરી. અને તમે નહીં માનો ઘરમાં પિતાને જાણ કર્યા વિના રોજ બપોરે ટીચરને ત્યાં જઈ છ મહિનાનો કોર્સ માત્ર પંદર દિવસમાં શીખી લીધો. જોકે આ વાતની જાણ થતાં પિતાએ અરવિંદ રાઠોડને સોટીએ સોટીએ ધીબેડી નાખ્યો.
એજ રીતે બાર વરસના અરવિંદની નાટકમાં પણ એન્ટ્રી નાટકીય રીતે થઈ હતી. અમદાવાદની પોળમાં થતાં વાર્ષિક મેળાવડામાં એક નાટક ભજવવાનું હતું. પરંતુ નાટકનો મુખ્ય કલાકાર ડિરેક્ટરને જોઇએ એવું પર્ફોર્મન્સ આપી શકતો નહોતો. ત્યારે દિગ્દર્શકે અરવિંદને બોવલાવી ડાયલોગ બોલવા કહ્યું. અરવિંદની સ્ટાઇલથી ખુશ થયેલા દિગ્દર્શકે એના પર પસંદગી ઉતારી અને દર્શકોના વાહવાહી મળી. બસ, ત્યારથી અભિનયનો ચટકો લાગ્યો.
અરવિંદ રાઠોડ કૉલેજમાં હતા ત્યારે ગુજરાત સમાચારે તેમને ફોટોગ્રાફર તરીકે નોકરીએ રાખ્યા અને ફોટોજર્નલિસ્ટ તરીકે મુંબઈના પ્રતિનિધિ બનાવ્યા. ફોટોગ્રાફી પણ એક મિત્ર પાસેથી શીખ્યા જે તેમને મુંબઈ સુધી પહોંચવામાં સહાયરૂપ નીવડી. કપડા અને ટાપટિપના શોખીન અરવિંદ રાઠોડ જ્યારે પણ ફોટોશૂટ માટે જાય ત્યારે સૂટબૂટમાં જનાર એક માત્ર ફોટોગ્રાફર હતા. બધા કલાકારો સાથે ઓળખાણ થઈ. એ સમયે રાજ કપૂર તેમના ડ્રીમ પ્રોજેક્ટ મેરા નામ જોકરનું શૂટિંગ કરી રહ્યા હતા. તેમણે અરવિંદ રાઠોડને જોયા અને ફિલ્મમાં ફોટોગ્રાફર તરીકેની ભૂમિકા સોંપી. જોકે આ અગાઉ તેમણે ગુજરાતી નાટ્યજગતમાં અનેક રેકૉર્ડ બનાવનાર વિનોદ જાનીના પ્રીત પિયુ ને પાનેતરમાં પણ કામ કર્યુ હતું.
જોકે એ સમયગાળામાં ઇરાની શેઠ મોટા ઘરની વહુ નામનું નાટક બનાવી રહ્યા હતા. હીરો તરીકે કોઈએ અરવિંદ રાઠોડની ભલામણ કરી. અરવિંદ રાઠોડની પસંદગી થઈ નાટક સફળ રહ્યું. જોકે નોકરી કરતા હોવાથી તેમણે અરવિંદને બદલે રાજેશકુમાર નામ રાખ્યું. પણ તેમના નાટકોને પણ લોકપ્રિયતા મળવા લાગી. રાજેશકુમારના નામે રજૂ થયેલું તેમનું નાટક મીંઢળ બાંધ્યું હાથમાં સુપરડુપર હિટ થયું, છાપામાં ફોટા છપાયા. અને આ વાતની જાણ અરવિંદ રાઠોડના અખબારના માલિકોને થતાં તેમને પાણીચું પકડાવી દીધું.
આમ છતાં હિંમત હારે એ અરવિંદ રાઠોડ નહીં. આ સમયગાળા દરમિયાન પદ્મારાણીએ ઘણો સધિયારો આપ્યો અને ફરી તેમનો ડંકો વાગવા લાગ્યો. નાટકો બાદ ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી કરી અને એક સમય એવો આવ્યો કે એક શહેરમાં એક જ કલાકારની 14 ફિલ્મો ચાલતી હોય, અને એ રેકૉર્ડ અરવિંદ રાઠોડના નામે બોલે છે.