બિઝનેસ હોય કે બૉલિવુડ, દરેકની આશાઓ પૂરી કરતું શહેર છે મોહમયી નગરી મુંબઈ. રોજ દેશભરથી હજારો લોકો પોતાના સપના સાકાર કરવા મુંબઈ આવતા હોય છે. એજ રીતે પચીસ વરસ અગાઉ મનોરંજનની દુનિયામાં પોતાનું નસીબ અજમાવવા રાજુ રહિકવાર એટલે કે જુનિયર શાહરૂખ ખાને બલ્લારપુરથી મુંબઈની વાટ પકડી. શાહરૂખ ખાનની સ્ટાઇલથી લોકોનું મનોરંજન કરી રહેલા જુનિયર શાહરૂખે દુનિયાભરમાં શોઝ કર્યા. શાહરૂખના લૂક અલાઇક તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ એન્ટ્રી કરી. પણ હાય રે નસીબ… રાજુ કહે છે કે, જેમને આરાધ્ય માનતો એ કિંગ ખાન શાહરૂખને મળવા જેટલી મહેનત કરતો એટલા જ એ મારાથી દૂર જતા હોય એવું લાગતું. એક-બે વાર નહીં, ઘણીવાર એવું બન્યું કે શાહરૂખ ખાન નજર સામે હોવા છતાં મળવાની વાત તો બાજુ પર તેમની સાથે ફોટો પણ લઈ ન શક્યો. જોકે રાજુ પણ જીદ્દ પર હતો અને મનોમન નક્કી કર્યું હતું કે એકવાર તો શાહરૂખ ખાનને મળી તમસે કમ ફોટો તો લઇશ જ.
દરમ્યાન, રાજુને એક શો માટે લંડન જવાનું થયું. રાજુએ લંડનના પ્રખ્યાત વૅક્સ મ્યુઝિયમમાં મુકવામાં આવેલા શાહરૂખના પૂતળા સાથે ફોટો લઈ પોતાની ઇચ્છા આંશિક રીતે પૂરી કરવાનું નક્કી કર્યું. પરંતુ નસીબની દેવી અહીં પણ પ્રસન્ન ન થઈ. શાહરૂખનું પૂતળું રિપેરિંગ માટે મોકલવામાં આવ્યું હોવાથી રાજુએ ખાલી હાથ પાછું આવવું પડ્યું. જોકે રાજુની શાહરૂખ ભક્તિ જોઈ નિયતિએ પણ રાજુના નસીબ આડેનું પાંદડું થોડું હટાવ્યું. બાજીવાર શો કરવા ગયેલા રાજુએ ફરી વૅક્સ મ્યુઝિયમની મુલાકાત લીધી અને જેવો શાહરૂખના સ્ટેચ્યુ પાસે પહોંચ્યો કે એની આંખમાંથી હર્ષના આસુ પહેવા લાગ્યા.
રાજુ કહે છે કે આજે હું જે કંઈ પણ છું એ શાહરૂખને કારણે છું. મારા પરિવારની પૂરી જવાબદારી હું શાહરૂખની એક્ટિંગ કરીને પૂરી કરતો હોઉં તો શાહરૂખ ખાન મારા માટે ભગવાનથી કમ ન હોય એ સ્વાભાવિક છે.