‘કસૌટી ઝિંદગી કે’ની બીજી સીઝનને પણ દર્શકો જબ્બર આવકાર મળી રહ્યો છે, કેવી લાગણી અનુભવો છો?
શોને જે પ્રતિભાવ મળી રહ્યો છે તેનાથી હું ઘણી ખુશ છું અને હું પણ એનો હિસ્સો છું એને કારણે ગર્વ અનુભવું છું. હું ઇચ્છું છું કે શો એક નવી ઊંચાઈ સર કરે. આવનારા ઍપિસોડ્સમાં દર્શકોને અણધાર્યા વળાંકો જોવા મળશે. પ્રેરણાનું પણ એક અલગ સ્વરૂપ જોવા મળશે. એ અડગ ઊભી રહેવાની સાથે પોતાના હકના સ્થાન માટે લડત ચલાવે છે.
પ્રેરણા શર્માને જે રીતે દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે એવી અપેક્ષા રાખી હતી?
સાચું કહું તો દર્શકો મને આટલો પ્રેમ આપશે એવું મે ધાર્યું નહોતું. પ્રેરણા એક એવું પાત્ર છે જે મારા મનમાં એક ખાસ જગ્યા ધરાવે છે. પાત્ર જે રીતે ડેવલપ થઈ રહ્યું છે એને કારણે પ્રેરણાનું અનોખું રૂપ દર્શકોને જોવા મળશે. ચાહકો મારા પર જે રીતે પ્રેમ વરસાવી રહ્યાં છે એ જોઈ મને ઘણું પ્રોત્સાહન મળી રહ્યું છે
વર્લ્ડ વીમેન્સ ડેના અવસરે, તેં અને એકતા કપૂરે પ્રેરણાના નવા અવતાર અંગે ચર્ચા કરી હતી. પ્રેરણાની આ નવી ઇનિંગમાં દર્શકોની કેટલી અપેક્ષાઓ સંતોષાશે?
પ્રેમભગ્ન થવું એ પ્રેરણાની નવી સફરની શરુઆત છે. પ્રેરણા માટે આ પ્રસંગ એક મજબૂત અને મક્કમ મહિલા તરીકેની ઇમેજ બનાવવા માટે જરૂરી હતું એ પોતાના હક માટે લડે છે અને પોતાનું સ્થાન મેળવવા લડત આપે છે. પ્રેરણા આજની નારીને પ્રતિબિંબિત કરે છે, જે પોતાના સ્થાને અડગ ઊભી રહે છે અને જ્યારે તેને પાડવાની કોશિશ કરાય છે ત્યારે વધુ દ્રઢ અને મજબૂત બનીને બહાર આવે છે.
પ્રેરણા મહિલા સશક્તિકરણના પ્રતીકરૂપ દર્શાવાઈ છે જે આત્મસન્માનને સૌથી વધુ મહત્ત્વ આપે છે. રિયલ લાઇફમાં પણ તું એવી છે?
શોની શરુઆતથી જ પ્રેરણાએ આત્મસન્માનને ખાસ મહત્ત્વ આપ્યું છે. જ્યારે પણ કંઈક ખોટું લાગે ત્યારે પોતાનો મત વ્યક્ત કર્યો છે. પ્રેરણાની જેમ મારે માટે આત્મવિશ્વાસ પહેલી પ્રાથમિકતા છે અને તે હંમેશા અન્ય બાબતો કરતાં આગળ આવે છે. આપણે કોઈપણ સંજોગોમાં હાર ન માનવી જોઈએ અને પોતાનું માન જાળવતા આવડવું જોઇએ.
પ્રેરણાના પરિવર્તનને કારણે અનુરાગ સાથેના સંબંધમાં કેટલો ફરક આવશે?
કોમોલિકાના પ્રવેશથી, અનુરાગ અને પ્રેરણાના સંબંધોમાં ઘણા બધા ફેરફાર થયા છે. પ્રેરણા સામે દુખના પહાડ છે અને એનો સામનો કરી રહી છે. એ અનુરાગની પત્ની તરીકેનો હક માંગી રહી છે. પ્રેરણા અને અનુરાગ બે આત્માઓ છે અને એ જોવું રસપ્રદ બની રહેશે કે શું તેઓ ફરી ભેગાં થઈ શકશે કે કેમ.
પ્રેરણા આજની મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે જે અડગ છે અને નિર્બળતાનો છાંટો એનામાં નથી. દર્શકો પ્રેરણાની વ્યથાને અનુભવી શકશે. ભારે નાટ્યાત્મકતાવાળા કથાનકમાં આવનારા અણધાર્યા વળાંકો દર્શકોને વિચારતા કરી મુકશે.