ઉરી ફિલ્મથી સફળતાને માણી રહેલા વિકી કૌશલના ખાતામાં ઓર એક ફિલ્મ આવી છે. જાણીતા ફિલ્મ સર્જક શૂજિત સિરકારની ફિલ્મ ઉધમ સિંહમાં વિકી ટાઇટલ રોલ કરશે. આઝાદી માટે લડત ચલાવનારા જે ક્રાંતિકારીઓ હતા એમાંના એક હતા ઉધમ સિંહ. આજે પણ લોકો શહીદ-એ-આઝમ સરદાર ઉધમ સિંહને તેમણે આપેલા બલિદાનને કારણે યાદ કરે છે.
આજના યુવાનો કદાચ ઉધમ સિંહને ઓળખતા નહીં હોય પણ જલિયાંવાલા બાગમાં થયેલા હત્યાકાંડ વિશે તો જાણતા હશે. જલિયાંવાલા બાગમાં યોજાયેલી સભામાં હાજરી આપવા આવેલા હજારો નિર્દોષ નાગરિકો પર પંજાબના ગવર્નર લેફ્ટેનન્ટ ગવર્નર જનરલ માઇકલ ઓ ડાયરે બેફામ ગોળીબાર કરતા સેંકડો લોકોએ જીવ ગુમાવ્યો હતો. સેંકડો નિર્દોષ લોકોને મારી નાખનાર ડાયરની હત્યા ઉધમ સિંહે કરી હોવાથી બ્રિટિશ સરકારે તેમને 1940માં ફાસીની સજા કરી હતી.
ઉધમ સિંહની ભૂમિકા કરી રહેલા વિકી કૌશલે કહ્યું કે, પંજાબી હોવાથી નાનપણથી ઉધમ સિંહની અનેક વાતો મેં સાંભળી છે. આ રહસ્યમયી વ્યક્તિત્વ ધરાવતા ક્રાંતિવીરનું પાત્ર શૂજિત સરના વિઝન મુજબ ભજવવા આતુર છું.