ટુ નાઇસ મૅન મીડિયાનેટવર્ક્સની આગામી વેબ સિરીઝમાં બૉલિવુડની જાણીતી અભિનેત્રી રિયા સેન મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. નિશીથ નીરવ નીલકંઠ દિગ્દર્શિત સિરીઝનું બૅકડ્રોપ મથુરા છે. એક નાના શહેરમાં રહેતી વ્યક્તિ જે એના રોજિંદા જીવનથી ટેવાયેલી છે અને એની ન કોઈ મહત્ત્વાકાંક્ષા છે કે ન પ્રેમની કોઈ ભાવના. સુલ્તાન અને ટાઇગર જિંદા હૈ ફેમ અનંત વિધાત આ નિરસ પાત્રને સાકાર કરી રહ્યો છે.
આવી યંત્રવત જિંદગી જીવતી વ્યક્તિના જીવનમાં કંઇક વિચિત્ર સંજોગોમાં રિયા સેનની એન્ટ્રી થાય છે. અને મોહક વ્યક્તિત્વ ધરાવતી રિયા જેવી યુવતી કોઈના જીવનનો હિસ્સો બને તો કોઈ પણ માણસ કલ્પનાની દુનિયામાં રહેવા લાગે છે.
ઈશ્વર કોઈકને નિરાંતે ઘડતો હોય છે અને એમાંની એક છે રિમઝિમ, અને આ પાત્રને ન્યાય આપવા ભારે જહેમત કરવી પડી. મથુરાનો માહોલ બનાવવા માટે મારા સહકલાકારો અને દિગ્દર્શકની ધીરજને કારણે હું મારૂં શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપી શકી. ટુ નાઇસ મૅન નિશીથ અને હરજીત સાથે કામ કરવાનો અનુભવ અવર્ણનીય હતો એમ રિયા સેને જણાવ્યું હતું.
સિરીઝના દિગ્દર્શક નિશીથ નીરવ નીલકંઠનું કહેવું છે કે, માણસનો જન્મજાત સ્વભાવ છે કે પ્રેમને પામવા અને એ મેળવ્યા બાદ જાળવી રાખવા કંઈ પણ કરી છૂટતો હોય છે અને આ વાત અમારી સિરીઝના કેન્દ્રમાં છે. રિમઝિમ અને મોહનની લવ સ્ટોરી પણ કંઇક મજેદાર છે. અને મને આશા છે કે દર્શકોને રિયાનો રિમઝિમ અવતાર પસંદ પડશે.