બૉલિવુડના કલાકાર અનિલ કપૂર તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા એના ફોટો સોશિયલ
મીડિયામાં વાયરલ થયા હતા. પરંતુ 21 જાન્યુઆરીએ ટોટલ ધમાલના ટ્રેલર લૉન્ચિંગ સમયે
વડાપ્રધાન સાથેની મુલાકાત વિશે જણાવ્યું હતું. અનિલે કહ્યું કે એ ઘણા વરસથી તેમને મળવા માંગતો
હતો પરંતુ શક્ય બન્યું નહીં. પણ મારૂં અહોભાગ્ય કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી શક્યો.
અનિલનું કહેવું છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી એમને મળવાની કોશિશ કરી
રહ્યો હતો, પરંતુ ત્યારે શક્ય બન્યું નહીં. પણ અમુક મુલાકાત એવી હોય છે જે નસીબમાં લખાયેલી
હોય છે. અનિલ એના અનુભવ અંગે જણાવતા કહે છે કે, વડાપ્રધાનનું વ્યક્તિત્વ ઘણું પ્રેરણાદાયી છે.
એવી પહેલી વ્યક્તિને મળ્યો હોઇશ જે દેશ માટે તનતોડ મહેનત કરતી હોય.
નરેન્દ્ર મોદીને પાછા વડાપ્રધાન બનાવવા જોઇએ કે નહીં? પ્રશ્નના જવાબમાં પીઢ કલાકારે કહ્યું કે,
આગામી ચૂટંણીમાં શું થાય છે, કેવા પરિણામ આવે છે એના પર નિર્ભર છે. પણ આ મંચ પર
રાજકારણની વાતો ન કરીએ એ બહેતર છે. અનિલ કપૂરે આ વાત ટોટલ ધમાલના ટ્રેલર લૉન્ચિંગના
અવસરે કહી હતી.
ટોટલ ધમાલનું દિગ્દર્શન ઇન્દ્રકુમાર કરી રહ્યા છે. ફિલ્મમાં અનિલ કપૂરની સાથે અજય દેવગણ,
માધુરી દીક્ષિત, અરશદ વારસી, રિતેશ દેશમુખ, જૉની લીવર, બોમન ઇરાની, સંજય મિશ્રા સહિત
અનેક કલાકારો છે. ટોટલ ધમાલમાં ફરી એક વાર અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની જોડી જોવા
મળશે. બંને 2000માં આવેલી પુકારમાં નજરે પડ્યા હતા. દરમ્યાન માધુરીએ કહ્યું કે અનિલ કપૂર
આટલા વરસો બાદ પણ બદલાયા નથી.